News Portal...

Breaking News :

22 વર્ષથી ઘરફોડ ચોરીઓ કરનાર પોલીસ શકંજા માં, આંતરરાજ્ય ચોર રૂ.34 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

2026-08-04 10:58:51
22 વર્ષથી ઘરફોડ ચોરીઓ કરનાર પોલીસ શકંજા માં, આંતરરાજ્ય ચોર રૂ.34 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં તસીદ કોમ્પ્લેક્સમાં બપોરના સમયે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી આંતરરાજ્ય રીઢા ચોર અનિલકુમાર મીસરી રાજભરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ.34.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

૧૪ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બપોરે એકથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન બંધ ફ્લેટના તાળા તોડી અજાણ્યા ચોરે અંદર પ્રવેશ કર્યો હતો. લાકડાના કબાટનું લોકર તોડી અંદાજે 51 તોલા સોનાના દાગીના, આશરે 400 ગ્રામ વજનની ચાંદીની પ્લેટ અને રૂ.40 હજારની રોકડ મળી કુલ રૂ.56.50 લાખથી વધુની ચોરી કરી ફરાર થયો હતો. આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થયા બાદ પંડ્યા બ્રિજ નીચે વોચ ગોઠવી અનિલકુમાર મીસરી રાજભરને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેણે સયાજીગંજની ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેની પાસેથી મળેલા દાગીના આ જ ગુનાના હોવાનું પણ સામે આવ્યું છે. વધુ પૂછપરછમાં તેણે ચોરીના કેટલાક સોનાના દાગીના મુંબઈમાં અલગ-અલગ સ્થળે વેચી દીધા હોવાનું જણાવ્યું હતું.


પ્રાથમિક તપાસ મુજબ અનિલકુમાર મીસરી રાજભર છેલ્લા 22 વર્ષથી વિવિધ રાજ્યોમાં દિવસના સમયે ઘરફોડ ચોરીઓ કરતો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મુદ્દામાલ અને આરોપીને વધુ તપાસ માટે સયાજીગંજ પોલીસને સોંપવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post