વડોદરા: ગુજરાત હાઇકોર્ટ દ્વારા અદાલતી દસ્તાવેજો માટે અમલી બનાવવામાં આવેલા ચોક્કસ ફોન્ટ નીતિ સામે વડોદરા વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ માંગ કરી છે કે સ્થાનિક લિપિ અને બારમાં પ્રચલિત ફોન્ટનો સમાવેશ કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં કોર્ટ કામગીરીથી અળગા રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

વકીલ મંડળના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, વર્ષ 2025માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટાઇપિંગ સંબંધિત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં સ્થાનિક લિપિ અને ફોન્ટનો સમાવેશ કરવા માટે વડોદરા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, 1 ઓગસ્ટ 2026થી આ નિયમનો અમલ શરૂ કરવામાં આવતા સ્થાનિક વકીલો માટે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે.
વકીલોની મુખ્ય માંગ છે કે સ્થાનિક બાર એસોસિએશનમાં વર્ષોથી ઉપયોગમાં લેવાતા ફોન્ટને અદાલતી દસ્તાવેજો માટે માન્યતા આપવામાં આવે. તેમનું કહેવું છે કે ચોક્કસ ફોન્ટ નીતિના કારણે વકીલો અને પક્ષકારોને કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરા વકીલ મંડળે સ્પષ્ટ કર્યું છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તમામ વકીલો કોર્ટ કામગીરીનો બહિષ્કાર કરી શકે છે અને વિરોધ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
Reporter: admin







