અમદાવાદ: શહેરના નારોલમાં ટાંકીમાં ખોદકામ કરતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદના નારોલમાં વિસ્તારની વૃંદાવન સોસાયટીમાં રહેતા 45 વર્ષીય રામભજન શર્મા આજે સોમવારે (26 મે) બપોરે સમારકામ અને ખોદકામ કરવા માટે ઘરની આગળની પાણીની ટાંકીમાં ઉતર્યા હતા. જ્યારે રામભજન લાંબા સમય સુધી બહાર ન આવતા અન્ય બે પડોશીઓ તેમની મદદ કરવા માટે ટાંકીમાં ઉતર્યા હતા. જોકે, ઓક્સિજનના અભાવે ત્રણેય બેભાન થઈ ગયા અને ત્યારબાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ દુર્ઘટના સર્જાઈ ત્યાં પાણીની ટાંકી અને બાજુમાં ખાડો હતો. જેમાં ખાડો ભરાઈ જતાં તેને પાણીથી સાફ કરવાની આવશ્યક્તા હતી.
એટલે મૃતક રામભજન પહેલા સમારકામ કરવા માટે પાણીની ટાંકીમાં ઉતર્યા હતા.ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક રહેવાસીઓ એક મૃતકનો મૃતદેહ બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. જ્યારે ફાયર બ્રિગેડે અન્ય બે મૃતકનો મૃતદેહ બહાર કાઢ્યા હતા.' મૃતકોની ઓળખ રામભજન શર્મા(ઉં.વ. 45), ઋષિરાજ વર્મા(ઉં.વ. 19) અને ભૂપેન્દ્ર સિંહ રાજપૂત થઈ છે. સમગ્ર ઘટના મામલે નારોલ પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે એલજી હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ત્રણેયના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા. જોકે, ત્રણેય ભાડુઆતના મોતને લઈને પોલીસે FSLની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin