News Portal...

Breaking News :

મેદાન બચાવો, વ્હીકલ પુલ બીજી જગ્યાએ બનાવો...

2026-09-02 12:40:42
મેદાન બચાવો, વ્હીકલ પુલ બીજી જગ્યાએ બનાવો...

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગણતરીના બચેલા મોટા મેદાનોમાંથી એક એવા પંચશીલ મેદાન પર વ્હીકલ પુલ લાવવાની કોર્પોરેશનની યોજના સામે હવે સ્થાનિક નાગરિકો, સોસાયટીઓ, શાળાના વાલીઓ અને સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકો રમે તેવું મેદાન બચાવવાને બદલે તેના પર વાહનોનો પુલ ઊભો કરવાની તૈયારીને લોકો સીધો તઘલખી નિર્ણય ગણાવી રહ્યા છે. ટીપી સ્કીમ નંબર 19ના પ્લોટ નંબર 297 પર વ્હીકલ પુલ લાવવાની યોજના તૈયાર કરી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પણ આગળ વધી ગઈ હોવાનું સામે આવ્યું છે. પરંતુ સવાલ એ છે કે, બાળકોના રમતગમત માટે ઉપયોગમાં લેવાતા મેદાન પર જ વ્હીકલ પુલ બનાવવાની કોર્પોરેશનને શી જરૂર પડી?

હરિધામ એટલે કે પંચશીલ મેદાન માંજલપુરના સૌથી મોટા અને ઉપયોગી મેદાનોમાંનું એક હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ મેદાનમાં રોજ મોટી સંખ્યામાં બાળકો રમવા આવે છે. આસપાસ ત્રણ શાળાઓ આવેલી હોવાથી અંદાજે બે હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે પણ આ મેદાન મહત્વનું છે. એક તરફ સરકાર અને રાજકારણીઓ યુવાનોને રમતગમત તરફ વાળવાની મોટી-મોટી વાતો કરે છે. બાળકોને મેદાન આપવાની અને રમતગમતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જાહેરાતો થાય છે. પરંતુ બીજી તરફ જે મેદાન વર્ષોથી બાળકોના ઉપયોગમાં છે, તેને વાહનો માટે ફાળવવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે સ્થાનિકોનો સીધો સવાલ છે કે, બાળકો રમશે ક્યાં?

માંજલપુરમાં પહેલેથી જ ખુલ્લા મેદાનોની સંખ્યા મર્યાદિત છે. ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો માટે પણ હરિધામ મેદાનનો ઉપયોગ થતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આવા જાહેર ઉપયોગના મેદાનને વાહનોના પુલ માટે કબજે કરવાના નિર્ણય સામે લોકો હવે ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.

પંચશીલ મેદાનની આસપાસના રસ્તાઓ માત્ર અંદાજે 10થી 15 ફૂટ જેટલા સાંકડા હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. આવા સાંકડા રસ્તાઓમાંથી મોટા વાહનો પસાર થશે તો ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની સાથે અકસ્માતનો ભય પણ અનેકગણો વધી શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં પહેલેથી જ અવારનવાર અકસ્માતો સર્જાય છે. હવે જો મોટા વાહનોની અવરજવર વધશે તો શાળાએ જતા નાના બાળકોની સુરક્ષાનું શું? સવારે અને બપોરે શાળાના સમયમાં બાળકો રસ્તા પર અવરજવર કરતા હોય છે. તેવા સમયે ભારે વાહનોના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે?

સ્થાનિક વિજય બુમડિયાએ મીડિયા સમક્ષ રજૂઆત કરતાં હરિધામ મેદાનમાં વ્હીકલ પુલ બનાવવાના નિર્ણયને તઘલખી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આસપાસ ત્રણ શાળાઓ આવેલી છે અને અંદાજે બે હજાર વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં અવરજવર કરે છે. શાળાના બાળકો માટે મેદાનનું વિશેષ મહત્વ છે. રોજ બાળકો અહીં રમે છે અને રમતગમતની પ્રવૃત્તિઓ કરે છે. જો મેદાનનો મોટો ભાગ વ્હીકલ પુલ માટે લઈ લેવામાં આવશે તો બાળકો માટે ઉપલબ્ધ ખુલ્લી જગ્યા વધુ ઘટી જશે.

સ્થાનિકોનું કહેવું છે કે, તમે બાળકોને રમતગમત માટે પ્રોત્સાહન આપવાની વાત કરો છો, પરંતુ મેદાનો જ ખતમ કરી નાખશો તો આગામી પેઢી રમશે ક્યાં?

નાગરિકોએ કોર્પોરેશન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, માંજલપુર અને આસપાસના વિસ્તારોમાં અન્ય ગ્રીન પ્લોટ અને ઉપલબ્ધ ખાલી જમીનો હોવા છતાં બાળકોના ઉપયોગમાં આવતા મેદાન પર જ વ્હીકલ પુલ બનાવવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? લોકોનો આક્ષેપ છે કે, શહેરમાં અનેક જગ્યાએ ઉપલબ્ધ જમીનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવી શકે છે. જો વ્હીકલ પુલ ખરેખર જરૂરી હોય તો કોર્પોરેશન વૈકલ્પિક સ્થળોનો સર્વે કરે અને ઓછામાં ઓછા જાહેર ઉપયોગના મેદાનને નુકસાન થાય તેવો વિકલ્પ પસંદ કરે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, શહેરમાં અન્યત્ર જમીન અને જગ્યાઓ ઉપલબ્ધ હોવા છતાં માંજલપુરના હરિધામ મેદાનને જ નિશાન બનાવવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળના માપદંડ અને આયોજનને જાહેર કરવાની માંગ પણ ઉઠી રહી છે.

વ્હીકલ પુલ બનાવવાનો નિર્ણય લોકો તઘલખી ગણાવી રહ્યા છે

માંજલપુરના પંચશીલ હરિધામ મેદાનમાં વ્હીકલ પુલ લાવવાની ટીપી સ્કીમ નંબર 19ના પ્લોટ નંબર 297ની યોજના સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. યોજના તૈયાર થયા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ આગળ વધી ગઈ હોવાનું સામે આવ્યું છે. પરંતુ આસપાસ ત્રણ શાળાઓ અને અંદાજે બે હજાર વિદ્યાર્થીઓની અવરજવર વચ્ચે બાળકોના રમતગમતના મેદાન પર વ્હીકલ પુલ બનાવવાનો નિર્ણય લોકો તઘલખી ગણાવી રહ્યા છે. માંજલપુરમાં ગણ્યાંગાંઠ્યાં મોટા મેદાનો બચ્યાં છે ત્યારે જાહેર ઉપયોગના હરિધામ મેદાનને વાહનો માટે ફાળવવાના નિર્ણય સામે નાગરિકો, વાલીઓ, સોસાયટીઓ અને શાળાના સંચાલકો હવે એકજૂટ થઈ વિરોધ કરી રહ્યા છે.

હરિધામ મેદાનની આસપાસ માત્ર 10થી 15 ફૂટ જેટલા સાંકડા રસ્તાઓ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આવા રસ્તાઓ પરથી મોટા વાહનો પસાર થશે તો ટ્રાફિક અને અકસ્માતનો ખતરો વધી શકે છે. વિસ્તારમાં પહેલેથી જ અકસ્માતોની ઘટનાઓ બનતી હોવાની ફરિયાદો છે. રમેશ અંબાલાલ પટેલ, ભાવેશ પટેલ અને રજનીભાઈ સહિતના નાગરિકોએ ધારાસભ્ય સતેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી છે, જ્યારે પંચશીલ સ્કૂલના સંચાલકોએ કોર્પોરેશનને પત્ર લખ્યો છે. લોકોનો સવાલ સીધો છે—ગ્રીન પ્લોટ અને અન્ય ખાલી જગ્યાઓ ઉપલબ્ધ હોય તો બાળકોનું મેદાન જ કેમ છીનવાઈ રહ્યું છે?

બિલ્ડરો અને નેતાઓના કબજે લીધેલા પ્લોટનો ઉપયોગ કરો

સ્થાનિકોનું કહેવું છે કે, માંજલપુર અને આસપાસના વિસ્તારોમાં અન્ય ગ્રીન પ્લોટ અને ઉપલબ્ધ ખાલી જમીનો હોવા છતાં બાળકોના ઉપયોગમાં આવતા મેદાન પર જ વ્હીકલ પુલ બનાવવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? લોકોનો આક્ષેપ છે કે, શહેરમાં અનેક જગ્યાએ ઉપલબ્ધ જમીનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવી શકે છે. જો વ્હીકલ પુલ ખરેખર જરૂરી હોય તો કોર્પોરેશન વૈકલ્પિક સ્થળોનો સર્વે કરે અને ઓછામાં ઓછા જાહેર ઉપયોગના મેદાનને નુકસાન થાય તેવો વિકલ્પ પસંદ કરે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, શહેરમાં અન્યત્ર જમીન અને જગ્યાઓ ઉપલબ્ધ હોવા છતાં માંજલપુરના હરિધામ મેદાનને જ નિશાન બનાવવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળના માપદંડ અને આયોજનને જાહેર કરવાની માંગ પણ ઉઠી રહી છે.

Reporter: admin

Related Post