અમદાવાદ: વાસણા બેરેજના 18 દરવાજા બદલવા અને સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી માટે સિંચાઈ વિભાગ દ્વારા 15 એપ્રિલથી બે મહિના માટે સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે.

નદીમાંથી પાણી ઓસરતા જ જ્યાં એક તરફ કાદવ-ગંદકી, ખંડિત મૂર્તિઓ અને રિવરફ્રન્ટની દીવાલોના ખુલ્લા સળિયા બહાર આવ્યા છે, તો બીજી તરફ આ જ કાદવમાં માટી ખોદીને રાજાશાહી વખતના જૂના સિક્કાઓ, ચલણી સિક્કા, સોના-ચાંદીની વસ્તુ અને કિંમતી વસ્તુઓ શોધવા માટે સ્થાનિક શ્રમિકો ઉપરાંત છેક સૌરાષ્ટ્રના જેતપુર અને ગોંડલથી આવેલા લોકોની ભારે ભીડ નદીના પટમાં ઉમટી પડી છે.
અમદાવાદમાં સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ અને સુભાષબ્રિજની કામગીરી કરવાના હેતુથી રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા 15 એપ્રિલથી 15 જૂન સુધી નદીને ખાલી કરવામાં આવી છે. ડેમ સેફ્ટી અંતર્ગત કરાયેલા પ્રિ-મોન્સુન ઇન્સ્પેક્શનમાં નિષ્ણાતોની ભલામણ મુજબ, બેરેજની લાંબા ગાળાની મજબૂતી અને સુરક્ષા માટે તેના કુલ 30 પૈકી 18 નવા ગેટ્સ બનાવવામાં આવશે અને અન્ય ગેટ્સનું જરૂરી રિપેરિંગ કરાશે.
Reporter: admin







