હિંદુ સંગઠનો અને સનાતનની સંતોના વિરોધ બાદ કડક અમલ
શહેરના વિશ્વવિખ્યાત નવલખી ગ્રાઉન્ડ ખાતે આજથી વડોદરા ફેસ્ટિવલ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે.

નવરાત્રી મહોત્સવને લઈ શહેરમાં ભારે ઉત્સાહનું માહોલ છે, ખેલૈયાઓમાં આનંદની લહેર જોવા મળી રહી છે. આ પ્રસંગે ખાસ વ્યવસ્થા હેઠળ ખેલૈયાઓને પ્રવેશ વખતે તિલક કરીને જ અંદર જવા દેવામાં આવી રહ્યા છે.આ નિર્ણય પાછળનું કારણ ગત વર્ષની ઘટના છે. હિંદુ સંગઠનો, વિશ્વ હિંદુ પરિષદ અને સંત સનાતન સંસ્થાના સંતોએ ગત વર્ષે પરધર્મી દ્વારા થયેલી ઘટનાનો કડક વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને ધ્યાનમાં રાખીને આ વર્ષે આયોજકોએ ખેલૈયાઓને માત્ર તિલક કર્યા બાદ જ પ્રવેશ આપવાનો નિયમ લાગુ કર્યો છે.આ પ્રસંગે ખેલૈયાઓએ પણ તિલક સાથે ગરબા રમવાની પરંપરા સ્વીકારીને આનંદ વ્યક્ત કર્યો હતો.

નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી નવલખી ગ્રાઉન્ડ પર ભવ્ય શોભા જોવા મળી હતી. એક તરફ માઁ દુર્ગાની આરતી ગુંજાઈ રહી હતી તો બીજી તરફ ઢોલ-નગારા સાથે ખેલૈયાઓ પરંપરાગત ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા.સંતો અને હિંદુ સંગઠનોના આગ્રહને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ આ તિલક એન્ટ્રીની વ્યવસ્થા સોશિયલ મિડિયા પર પણ ચર્ચાનો વિષય બની રહી છે. એક તરફ કેટલાક લોકો આ પગલાને ધાર્મિક પરંપરા જાળવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક તેને ભેદભાવનું કારણ માનીને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.વડોદરા ફેસ્ટિવલ નવરાત્રી મહોત્સવ આવતા નવ દિવસ સુધી નવલખી ગ્રાઉન્ડમાં જોરશોરથી ઉજવાશે. ખેલૈયાઓ અને દર્શકોને સલામતી, પરંપરા અને શિસ્ત સાથે ઉત્સવ માણી શકે તે માટે આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Reporter: admin







