ભારતીય રેલવેએ ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો સામે કડક વલણ અપનાવતાં મોટો નિર્ણય લીધો છે. રેલ મંત્રાલયે 20 જૂન 2026થી ટિકિટ વિના અથવા નિયમોનો ભંગ કરીને મુસાફરી કરતા મુસાફરો પર લાગતો ન્યૂનતમ દંડ રૂ. 250માંથી વધારીને રૂ. 500 કરી દીધો છે. આ નવો નિયમ જન વિશ્વાસ અધિનિયમ-2026 હેઠળ અમલમાં મુકાયો છે.
રેલવેના જણાવ્યા મુજબ, રેલવે એક્ટ-1989ની કલમ 137 અને 138 હેઠળ આ સુધારો કરવામાં આવ્યો છે. આ કલમો હેઠળ ટિકિટ વગર મુસાફરી, ગેરરીતિથી મુસાફરી કરવી અથવા મુસાફરીના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે છે. રેલવેનું કહેવું છે કે આ પગલાનો મુખ્ય હેતુ ટિકિટલેસ મુસાફરી પર અંકુશ મૂકવાનો, ટ્રેનોમાં શિસ્ત જાળવવાની અને રેલવે સંચાલનને વધુ અસરકારક બનાવવાનો છે.
રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા માન્ય ટિકિટ જરૂર ખરીદે અને મુસાફરી દરમિયાન તે પોતાના પાસે રાખે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટિકિટ વગર મુસાફરી કરવી માત્ર નિયમોનો ભંગ નથી, પરંતુ તેનાથી રેલવેની આવકને નુકસાન થાય છે અને સમગ્ર વ્યવસ્થા પણ પ્રભાવિત થાય છે.
ઉલ્લેખનીય છે કે મે 2026 દરમિયાન માત્ર સેન્ટ્રલ રેલવે ઝોને 4.96 લાખ ટિકિટલેસ મુસાફરો પાસેથી કુલ રૂ. 40.85 કરોડનો દંડ વસૂલ્યો હતો. આ આંકડો બતાવે છે કે ટિકિટ વગર મુસાફરીની સમસ્યા હજુ પણ ગંભીર છે. તેથી હવે મુસાફરોએ ટિકિટ વગર મુસાફરી કરતા પહેલા બે વાર વિચારવું પડશે.
Reporter: admin







