વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે શહેરભરમાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણી અંતર્ગત સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે, જ્યારે શહેરના તમામ 19 વોર્ડમાં કુલ 52 જેટલા સ્થળોએ યોગ સત્રો યોજવામાં આવશે. ઉપરાંત અતિથિગૃહો, સરકારી કચેરીઓ, જન આરોગ્ય કેન્દ્રો, બગીચાઓ, ઐતિહાસિક ઇમારતો અને ધાર્મિક સ્થળોએ પણ યોગ કાર્યક્રમો યોજાશે.
નિઝામપુરા અતિથિગૃહ, કમાટીબાગ, હરણી સ્કલ્પચર પાર્ક, ડભોઈ દશાલાડ ભવન, ઇન્દુલાલ યાજ્ઞિક સ્કૂલ, ગોત્રી ગાર્ડન, બ્રહ્માકુમારીઝ આત્મચિંતન ભવન, સર સયાજીરાવ નગરગૃહ, કલ્યાણ પ્રસાદ મંદિર, ઝારોલા ભવન, પૂજાપાર્ક ગાર્ડન, હજીરા હેરિટેજ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મકરપુરા કોમ્યુનિટી હોલ સહિત અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત ન્યાયમંદિર પરિસર, પ્રતાપનગરનો મકબરો, સૂરસાગર તળાવ, સેવાસી વાવ સહિતના ઐતિહાસિક સ્થળો તેમજ સિદ્ધનાથ, રામનાથ, ઠેકરણાથ, મોટનાથ, જાગનાથ, કોટનાથ, કાશીવિશ્વનાથ, ભીમનાથ અને કામનાથ મંદિરોના પરિસરમાં પણ યોગ કાર્યક્રમો યોજાશે.
કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ, યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ, શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં ભાગ લેશે. મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને પોતાના નજીકના સ્થળે વહેલી સવારે ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરી છે.
Reporter: admin







