News Portal...

Breaking News :

નકલી વૃક્ષારોપણની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જરૂરી (ટોપી)

2026-06-10 15:15:10
નકલી વૃક્ષારોપણની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જરૂરી (ટોપી)




‘એક પેડ માં કે નામ’ અભિયાનનો વડોદરા પાલિકાએ જનાજો કાઢ્યો, ફોટો સેશન પૂરું થયું અને છોડવાઓને મરવા માટે રઝળતા મૂકી દેવાયા, નેતાઓ સોશિયલ મીડિયા પર હીરો અને વાસ્તવિકતામાં ઝીરો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં પર્યાવરણની જાળવણી માટે ‘એક પેડ માં કે નામ’ જેવું સંવેદનશીલ અને ભવ્ય અભિયાન શરૂ કરાવ્યું છે. પરંતુ ભ્રષ્ટાચાર અને આળસના અડ્ડા સમાન બની ચૂકેલા વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો આ ઉમદા અભિયાનને ઘોળીને પી ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના શીર્ષસ્થ નેતાઓને માત્ર કાગળ પર અને સોશિયલ મીડિયા પર ખુશ કરવા માટે વડોદરામાં આડેધડ, કોઈપણ જાતના પ્લાનિંગ વગર વૃક્ષારોપણના નામે તાયફાઓ કરવામાં આવ્યા.
નેતાઓએ હાથમાં કોદાળી અને છોડ પકડીને ફોટા પડાવ્યા, વાહવાહી લૂંટી લીધી અને પોતપોતાના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર ચમકાવી પણ દીધા. પરંતુ ફોટો સેશન પૂરું થતાં જ વાસ્તવિકતા સામે આવી છે, જે અત્યંત આઘાતજનક અને શરમજનક છે. શહેરના રામનાથ તળાવના બ્યુટિફિકેશનની મોટી-મોટી વાતો વચ્ચે વિશ્વ પર્યાવરણ દિવસે અહીં નેતાઓ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઉતરી પડ્યો હતો.
કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનના દાવા કરાયા, પરંતુ ગ્રાઉન્ડ ઝીરોની તસવીરો પાલિકાના પાપ ખુલ્લા પાડી રહી છે. તળાવના કિનારે લીલા રંગના ફેન્સિંગ પાસે અસંખ્ય મોંઘા અને કિંમતી છોડવાઓ કુંડા અને કાળા રંગની પ્લાસ્ટિકની થેલીઓ સાથે એમ જ જમીન પર રઝળતા મૂકી દેવાયા છે. છોડને રોપવા માટે ખાડો ખોદવાની કે જમીનમાં યોગ્ય રીતે મૂકવાની તસ્દી પણ તંત્રએ લીધી નથી.



નેતાઓ ગયા એટલે માળી અને સુપરવાઈઝરો પણ એસી ગાડીઓમાં બેસીને રવાના થઈ ગયા હતા. જે છોડવાઓ પર્યાવરણને શુદ્ધ કરવાના હતા, તે આજે તંત્રની ઘોર બેદરકારીના કારણે કાળઝાળ ગરમીમાં પાણી વિના સુકાઈને લાકડા જેવા થઈ ગયા છે. આ કિંમતી છોડ, જેને ખાસ માવજતની જરૂર હોય છે, તે ફેન્સિંગના સહારે સુકાઈને કચરો બની ચૂક્યા છે.
અમુક જગ્યાએ તો ઘાસની વચ્ચે અડધો-પડધો ખાડો ખોદીને પ્લાસ્ટિકની કોથળી કાઢ્યા વગર જ છોડ મૂકી દેવાયા છે. આવી મૂર્ખામીભરી રીતે કરાયેલું પ્લાન્ટેશન ક્યારેય ઉગવાનું જ નથી, તે સામાન્ય નાગરિકને પણ ખબર પડે છે, પરંતુ પાલિકાના ભણેલા-ગણેલા એન્જિનિયરો અંધ બનીને બેઠા છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે માત્ર કાગળ પર વૃક્ષો બતાવીને ભ્રષ્ટાચારની ભેટ ચડાવી દેવાયા છે.
વડોદરા કોર્પોરેશનના નેતાઓ અને અધિકારીઓ માટે પર્યાવરણ દિવસ માત્ર એક ઇવેન્ટ બનીને રહી ગયો છે. ગ્રીન બેલ્ટ બનાવવાના નામે લાવવામાં આવેલા સેંકડો છોડવાઓ આજે રામનાથ તળાવની સાઇટ પર મરણપથારીએ પડ્યા છે. જો નેતાઓને માત્ર સોશિયલ મીડિયા પર લાઈક્સ જ જોઈતી હતી, તો જનતાના પૈસે ખરીદેલા આ જીવતા છોડવાઓને મોતના મોંમાં કેમ ધકેલી દીધા? આ આયોજન વગરના તાયફા પાછળ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં કેમ નથી લેવાતા?



નકલી વૃક્ષારોપણની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ
જો વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટની વડોદરામાં આવી ગંભીર અને દયનીય સ્થિતિ થાય છે, તો સામાન્ય કામોની તો વાત જ ક્યાં કરવી. વડોદરાની જનતા હવે માંગ કરી રહી છે કે રામનાથ તળાવ ખાતે થયેલા આ નકલી વૃક્ષારોપણની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જે પણ અધિકારીએ માત્ર કાગળ પર અને ફોટા પૂરતું કામ કરીને છોડવાઓને મરવા મૂકી દીધા છે, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. નહિતર આગામી દિવસોમાં જનતા પાલિકાની કચેરીએ આવીને આ સુકાયેલા લાકડા નેતાઓના ગળામાં પહેરાવશે, તેમાં કોઈ બેમત નથી.


જનતાનો આક્રોશ: શું આ રીતે વડોદરા ગ્રીન સિટી બનશે?
વડોદરાના જાગૃત નાગરિકો હવે આ પાપ જોઈને લાલચોળ થઈ રહ્યા છે. તળાવ કિનારે રઝળતી ગ્રીન નર્સરીના આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પાલિકાની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે જો યોગ્ય રીતે પ્લાન્ટેશન કરવાની દાનત જ નહોતી, તો આટલા બધા છોડ લાવીને પાયમાલ કેમ કર્યા? એક તરફ વડોદરા પાણી માટે ટળવળે છે અને બીજી તરફ લાવેલા છોડવાઓને પાણી આપવાની કે રોપવાની કોઈની દાનત નથી. આ બતાવે છે કે વડોદરા કોર્પોરેશનમાં માત્ર ભ્રષ્ટાચાર, આળસ અને દેખાડો જ ચાલી રહ્યો છે.


Reporter: admin

Related Post