અમદાવાદ : ગુજરાતના કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે.
કચ્છમાં રવિવારે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર કચ્છમાં સવારે 10.06 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે જાન-માલના નુકસાનના સમાચાર નથી.સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 18 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આ મહિનામાં જિલ્લામાં ત્રણથી વધુની તીવ્રતાનો આ ત્રીજો ભૂકંપ છે.
અગાઉ 23 ડિસેમ્બર અને 7 ડિસેમ્બરે પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 23 ડિસેમ્બરે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7 ડિસેમ્બરે પણ ભૂકંપના કારણે કચ્છની ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. ગઈ 23 ડિસેમ્બરના રોજ કચ્છને અડીને આવેલી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે 3.7ની તીવ્રતાના આવેલા ભૂકંપના શક્તિશાળી આંચકાની અસર લખપત આસપાસના વિસ્તારો સુધી અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સોમવારના સવારે 10 અને 44 કલાકે લખપતથી 76 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં આવેલા પંજાબ ચોકના સાહબદીન મીઠી પ્રાંતમાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ઉદભવ્યો હતો. આ આંચકો કચ્છના લખપત,ખાવડા અને ધોરડો સુધીના અનુભાવાયો હતો.
Reporter: admin