પાદરા ખાતે ગૃહરાજય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ધ્વજવંદન કરાવશે.હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક પણ ઘર તિરંગો લહેરાવ્યા વગરનું રહી ન જાય તે જોવા જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જિલ્લા કલેકટર બી.એ.શાહ
વડોદરા જિલ્લામાં પી.પી.શ્રોફ હાઇસ્કુલ, પાદરા ખાતે ભારતના સ્વતંત્રતાના ૭૮મા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે હર ઘર તિરંગા કાર્યક્રમની ઉત્સાહમય અને ગરિમામય ઉજવણી કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર બી.એ.શાહે જણાવ્યું છે.વડોદરા કલેકટર કચેરી ખાતે કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક મળી હતી.આ બેઠકમાં વડોદરા જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા કલેકટરએ બેઠકમાં ભારતના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત પી.પી.શ્રોફ હાઇસ્કુલ પાદરા ખાતે સવારના ૯-૦૦ કલાકે રાજયના ગૃહ રાજય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા કલેકટર શાહે હર ઘર તિરંગા કાર્યક્રમના અસરકારક પરિણામલક્ષી અમલીકરણ માટે તથા સુચારૂં આયોજન કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અસર કારક આયોજન માટે જે અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે તેને સુપેરે નિભાવી ભારતના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને સાર્થક કરવા જણાવ્યું હતું.બેઠક દરમિયાન જિલ્લા કલેકટર બી.એ.શાહે આગામી તા. ૧૦ થી તા.૧૩મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો હોઇ જિલ્લાના નાગરિકોને તા.૧૦ થી ૧૩ દરમિયાન જિલ્લાના તમામ ઘરો સહિત, દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજિયક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, સહકારી, દૂધ મંડળીઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રના આન-બાન-શાન સમાન તિરંગો લહેરાવવા અપીલ કરી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર ડો. બી. એસ. પ્રજાપતિ, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Reporter: admin