વડોદરા: આગામી દશામા ઉત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે શહેરમાં તહેવાર દરમિયાન નાગરિકોને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહાનગરપાલિકાના પાંચેય પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ખાસ કરીને દશામા વિસર્જન દરમિયાન કૃત્રિમ તળાવોની વ્યવસ્થા, લાઇટિંગ, પાર્કિંગ, સુરક્ષા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિસર્જન દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને સમગ્ર વ્યવસ્થા સુચારૂ રીતે ચાલે તે માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારવા પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેથી શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકો સરળતાથી અને સુવિધાપૂર્વક વિસર્જન કરી શકે.
મેયર ગીતા મકવાણાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કાઉન્સિલરો તેમજ સંબંધિત વિસ્તારોના નાગરિકો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ શહેરમાં કેટલા કૃત્રિમ તળાવો ઉભા કરવા તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા દશામા ઉત્સવ દરમિયાન સુરક્ષિત અને સુવ્યવસ્થિત વિસર્જન માટે તમામ જરૂરી આયોજન સમયસર પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી પણ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી.
Reporter: admin







