ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બે દિવસ માટે સ્થગિત કરાયેલી ચારધામ યાત્રા ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્દેશ બાદ સવારે 6 વાગ્યાથી યાત્રાનું સંચાલન ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં આવ્યું છે.
યાત્રા પ્રશાસનના વિશેષ કાર્યાધિકારી (એસઓડી) પ્રજાપતિ નૌટિયાલે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને ગઢવાલ કમિશનરના નિર્દેશ મુજબ ગુરુવાર સવારે 6 વાગ્યાથી ચારધામ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સરકાર તરફથી આગામી સમયમાં કોઈ નવી સૂચના મળશે તો તેની માહિતી તાત્કાલિક યાત્રાળુઓ સુધી પહોંચાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને અનેક સ્થળોએ થયેલા ભૂસ્ખલનના કારણે ચારધામ યાત્રાના માર્ગો અવરોધિત થઈ ગયા હતા. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને 28 અને 29 જુલાઈના રોજ ચારધામ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
Reporter: admin







