વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનના દિવસે પ્રચારને લઈને વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે ભાજપ પર આચાર સંહિતાના ભંગનો આક્ષેપ લગાવતા વિરોધ નોંધાવ્યો છે.
કોંગ્રેસનો આક્ષેપ છે કે મતદાનના દિવસે પણ ભાજપ દ્વારા બૂથની અંદર તેમજ સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ખેસ સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ મામલે કોંગ્રેસના નેતાઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો.
મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી બહાર યોજાયેલા આ ધરણામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, ચૂંટણી પ્રભારી સંદીપ માંગરોલા અને બિમલ શાહ સહિતના નેતાઓ જોડાયા હતા.
કોંગ્રેસે ભાજપ પર લોકશાહીનું ખૂન કરવાનો આરોપ લગાવ્યો છે અને ચૂંટણી પંચ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.
Reporter: admin







