વડોદરાની ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી ચૂંટણી અને વહીવટી તંત્ર સજ્જ છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચના સેક્શન ઓફિસર શ્રી અશોક કુમાર તેમજ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર શ્રી અરુણેન્દ્ર બહાદુર સિંઘે માંજલપુર મત વિસ્તારના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ ઉચ્ચ અધિકારીઓએ ફિલ્ડ પર પ્રત્યક્ષ જઈને મતદાન મથકો ખાતેના વ્યવસ્થાપન, સુરક્ષા બંદોબસ્ત અને આનુષાંગિક કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વમાં મતદારોની સુવિધા અને સરળતા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા સુદ્રઢ અને આયોજનબદ્ધ કામગીરીને નિહાળીને બંને અધિકારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
તદુપરાંત, મતદાન મથકો પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા ચૂંટણી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફ સાથે સંવાદ સાધીને તેમને ઝીણવટભર્યા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. ચૂંટણી પંચના અધિકારીઓએ ફરજ પરના તમામ કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જેનાથી જિલ્લા ચૂંટણી તંત્રનો ઉત્સાહ વધુ બેવડાયો છે.
Reporter: admin







