પટણા: બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં સોમવારે નાસભાગની દુઃખદ ઘટના બની હતી. આ ઘટનામાં 7 શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા, જ્યારે 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, શ્રાવણના સોમવારને કારણે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અશોકધામ હોલ્ટ રેલવે સ્ટેશન નજીક ભારે ભીડ વચ્ચે અચાનક અફરાતફરી મચી હતી. વીજ પોલ અથવા વીજ વાયર પડવાની અફવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હોવાની પણ માહિતી સામે આવી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અતિશય ભીડને કારણે બેરિકેડિંગ તૂટી પડ્યું હતું અને લોકો એકબીજા પર પડી ગયા હતા. એકસાથે બે ટ્રેન આવતાં પણ અચાનક ભીડ વધી હોવાનું જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું.
ઘટના બાદ પોલીસ અને જિલ્લા પ્રશાસને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાએ મોટા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ભીડ નિયંત્રણ, બેરિકેડિંગ અને સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Reporter: admin







