કેન્દ્ર સરકારે વોટ્સએપના નવા Username Featureને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સરકાર આ નવા ફીચરની સુરક્ષા અને તેનો સંભવિત દુરુપયોગ અટકાવવા માટે તેની વિગતવાર સમીક્ષા કરશે. સરકારનું માનવું છે કે આ ફીચર શરૂ થયા બાદ મોબાઇલ નંબર છુપાવીને ચેટ કરવાની સુવિધાનો ઉપયોગ કરીને સાયબર ઠગાઈ અને નકલી ઓળખ બનાવી લોકોને છેતરવાના બનાવોમાં વધારો થઈ શકે છે.
વોટ્સએપની પેરેન્ટ કંપની Metaએ તાજેતરમાં એવો ફીચર રજૂ કર્યો છે, જેમાં યુઝર્સ પોતાનો મોબાઇલ નંબર જાહેર કર્યા વગર માત્ર યુઝરનેમ દ્વારા અન્ય લોકો સાથે ચેટ કરી શકશે. આ સુવિધા હાલ તબક્કાવાર રીતે વિશ્વભરના યુઝર્સ માટે શરૂ કરવામાં આવી રહી છે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફીચરથી યુઝર્સની પ્રાઈવસી વધશે, પરંતુ સાથે જ ફેક એકાઉન્ટ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરવાની શક્યતાઓ પણ વધી શકે છે. જો કોઈ વ્યક્તિ બીજા નામે યુઝરનેમ બનાવી લોકોને સંપર્ક કરશે, તો તેની ઓળખ કરવી મુશ્કેલ બની શકે છે.
ભારતમાં વોટ્સએપના 50 કરોડથી વધુ સક્રિય યુઝર્સ છે. એટલા મોટા યુઝર બેઝને ધ્યાનમાં રાખીને સરકાર નવા ફીચરના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ, ઓળખ ચકાસણી અને સાયબર સુરક્ષાના પાસાઓની તપાસ કરશે, જેથી ભવિષ્યમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોને અટકાવી શકાય.
મેટાએ 29 જૂનથી વૈશ્વિક સ્તરે યુઝરનેમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. જોકે આ ફીચર તમામ યુઝર્સને એકસાથે ઉપલબ્ધ નહીં થાય. આગામી કેટલાક મહિનાઓ દરમિયાન તેને તબક્કાવાર રીતે વિવિધ દેશોમાં રોલઆઉટ કરવામાં આવશે. ફીચર ઉપલબ્ધ થતાં જ યુઝર્સને વોટ્સએપ એપમાં નોટિફિકેશન મળશે.
Reporter: admin







