દિલ્હી : રાજ્યસભામાં આજે સરકાર તરફથી વક્ફ સુધારા બિલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ(JPC) દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર જોરદાર હોબાળાની સ્થિતિ જોવા મળી હતી.
આ મામલે વિપક્ષ તરફથી આક્રમક વલણ અપનાવાયો હતો. જેના બાદ બંને ગૃહો સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું છે કે મુસ્લિમો વિરુદ્ધ નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. અમે આ બિલની વિરુદ્ધ છીએ. બંધારણ હેઠળ આપણને જે અધિકારો મળ્યાં છે આ તેની વિરુદ્ધ છે. આ બિલ ઇતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે. ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે સરકારે અમારી અસંમતિઓ ધ્યાને પણ લીધી નથી. તેમનો એજન્ડા લઘુમતીઓને નિશાન બનાવવાનો છે.
30મી જાન્યુઆરીના રોજ જેપીસી પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલ સંસદ ભવનમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમની ઓફિસમાં મળ્યા અને તેમને રિપોર્ટ સુપરત કર્યો હતો. ખરેખર તો 29 જાન્યુઆરીએ JPC પેનલે બહુમતીનાં આધારે રિપોર્ટ સ્વીકારી લીધો હતો. તેમાં શાસક ભાજપના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોનો સમાવેશ કરાયો હતો. સંસદીય સમિતિના વડા ભાજપના સાંસદ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે NDA સાંસદો દ્વારા રજૂ કરાયેલા 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા તમામ સુધારા નકારી કાઢવામાં આવ્યા હતા.
Reporter: admin







