News Portal...

Breaking News :

દુર્ગમ વિસ્તારોમાં ઝડપથી પહોંચશે તબીબી મદદ, કેન્દ્ર સરકારે બે-વ્હીલર એમ્બ્યુલન્સ માટે નવા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો

2026-08-04 15:40:57
દુર્ગમ વિસ્તારોમાં ઝડપથી પહોંચશે તબીબી મદદ, કેન્દ્ર સરકારે બે-વ્હીલર એમ્બ્યુલન્સ માટે નવા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો

દેશના દૂરદરાજ, ગ્રામ્ય અને પર્વતીય વિસ્તારોમાં કટોકટીની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે બે-વ્હીલર રોડ એમ્બ્યુલન્સ માટે નવા નિયમનકારી માળખાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ બે-વ્હીલર એમ્બ્યુલન્સને સત્તાવાર માન્યતા આપવી અને તેના સંચાલનને નિશ્ચિત ધોરણો હેઠળ લાવવાનો છે, જેથી મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા વિસ્તારોમાં દર્દીઓ સુધી તાત્કાલિક તબીબી સહાય ઝડપથી પહોંચી શકે.

મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, હાલ દેશમાં બે-વ્હીલર એમ્બ્યુલન્સ માટે અલગથી કોઈ સમર્પિત નિયમનકારી વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. કેન્દ્રીય મોટર વાહન નિયમો હેઠળ આ વાહનોને અલગ શ્રેણીના વાહન તરીકે માન્યતા આપવામાં આવી નહોતી. આ ઉપરાંત તેમના ડિઝાઇન, સુરક્ષા ધોરણો, નોંધણી, ફિટનેસ ચકાસણી અને સંચાલન માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકાનો અભાવ હતો.

નવા નિયમો હેઠળ બે-વ્હીલર એમ્બ્યુલન્સના નિર્માણ, સુરક્ષા અને કાર્યપ્રણાલીને પ્રમાણભૂત બનાવવામાં આવશે. આ માટે મંત્રાલયે AIS-209 (Part 1):2026 નામના નવા ટેકનિકલ ધોરણને લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ધોરણ જીવનરક્ષક બે-વ્હીલર એમ્બ્યુલન્સની બનાવટ અને જરૂરી સુવિધાઓ સંબંધિત નિયમો નક્કી કરશે.

પ્રસ્તાવ મુજબ, 1 ઓક્ટોબર 2027 અથવા ત્યારબાદ નિર્માણ થનારી એલ-2 શ્રેણીની તમામ બે-વ્હીલર એમ્બ્યુલન્સ માટે AIS-209 (Part 1):2026 ધોરણોનું પાલન ફરજિયાત રહેશે. આ ઉપરાંત વાહનો પર લગાવવામાં આવતી ઈમરજન્સી ચેતવણી લાઇટ્સને પણ નિર્ધારિત સુરક્ષા ધોરણો મુજબ બનાવવી પડશે.

સરકારનું માનવું છે કે બે-વ્હીલર એમ્બ્યુલન્સની સુવિધાથી સંકરા રસ્તાઓ, પર્વતીય વિસ્તારો અને એવા સ્થળોએ જ્યાં ચાર-પૈડાવાળી એમ્બ્યુલન્સ પહોંચવામાં મુશ્કેલી અનુભવે છે, ત્યાં દર્દીઓને સમયસર પ્રાથમિક સારવાર અને કટોકટીની તબીબી સહાય ઉપલબ્ધ કરાવી શકાશે.

Reporter: admin

Related Post