News Portal...

Breaking News :

રાજકારણમાં ફુલ સ્ટોપ કે અંત જેવુ કઇ હોતુ નથી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

2026-03-19 11:47:31
રાજકારણમાં ફુલ સ્ટોપ કે અંત જેવુ કઇ હોતુ નથી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી


દિલ્હી : રાજ્યસભામાંથી નિવૃત થયેલા ૫૯ સભ્યોને વિદાય આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. 


મોદીએ કહ્યું હતું કે રાજકારણમાં ફુલ સ્ટોપ કે અંત જેવુ કઇ હોતુ નથી. સંસદમાંથી નિવૃત થઇ રહેલા કેટલાક સભ્યો ફરી પરત આવવા આયોજન કરી રહ્યા છે જ્યારે કેટલાક અનુભવો લઇને સામાજિક જીવનમાં કોઇ ને કોઇ વિશેષ યોગદાન માટે જઇ રહ્યા છે. જે લોકો જઇ રહ્યા છે તેમને કહેવા માગીશ કે રાજનીતિમાં કોઇ જ ફુલસ્ટોપ નથી હોતો. વિદાય લઇ રહેલા સભ્યોના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે ભવિષ્ય તમારી રાહ જોઇ રહ્યું છે, તમારો અનુભવ અને યોગદાન રાષ્ટ્ર જીવનમાં જળવાઇ રહેશે. ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થતી હોય છે, અને દરેક સભ્ય એક અનોખી ભૂમિકા નિભાવે છે, આ પ્રકારના કાર્યક્રમો યોજવાથી પક્ષોની મર્યાદાઓથી ઉપર ઉઠીને એકબીજા પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય છે. જે પણ નેતાઓ આ સંસદને છોડીને જઇ રહ્યા છે તેમને કહેવા માગુ છું કે રાજકારણમાં કોઇ પૂર્ણ વિરામ નથી હોતો. 


આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ એચડી દેવગૌડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એનસીપીના પ્રમુખ શરદ પવારના ખુબ વખાણ કર્યા હતા.   રાજ્યસભામાંથી અનેક સભ્યોએ વિદાય લીધી છે, ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રિએને કહ્યું હતું કે પ્રિયંકા ચતુર્વેદી, સાકેત ગોખલે, રિતાબ્રતા બેનરજી જેવા યુવા વયના સાંસદો સાથે કામ કરવાની તક મળી, છ વર્ષના કાર્યકાળમાં ત્રણ અધ્યક્ષો એમ. વેંકટા નાયડુ, જગદીપ ધનખડ, સી. પી. રાધાકૃષ્ણ હેઠળ કામ કરવા મળ્યું. દરમિયાન હવે સંસદના બન્ને ગૃહોમાં બે દિવસ રજા રહેશે અને સપ્તાહના અંતે ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજ્યસભામાં ભાજપની સ્થિતિ મજબૂત થઇ રહી છે, તાજેતરમાં જે ૩૭ બેઠકો ખાલી પડી તેમાં ૧૧ પર ચૂંટણી અને બાકીની બિનહરીફ જાહેર કરાઈ હતી.

Reporter: admin

Related Post