દિલ્હી : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ ન્યાયતંત્રની આંતરિક કામગીરી અને જજોની બદલીની પ્રક્રિયા(કોલેજિયમ સિસ્ટમ) પર ગંભીર સવાલો ઉઠાવીને કાયદાકીય જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
પુણેની આઈ.એલ.એસ. લો કોલેજમાં વ્યાખ્યાન દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, 'ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે સૌથી મોટું જોખમ હવે બહારથી નહીં પણ અંદરથી જ પેદા થઈ રહ્યું છે.' તેમણે મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરનના કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'કોઈ જજને માત્ર એટલા માટે બદલી દેવા કે તેણે સરકાર વિરુદ્ધ કોઈ અસુવિધાજનક આદેશ આપ્યો હોય, તે ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડે છે.
જસ્ટિસ ભુઈયાએ એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે, જસ્ટિસ શ્રીધરનની બદલીમાં કેન્દ્ર સરકારના સૂચન મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા. પહેલા તેમને છત્તીસગઢ મોકલવાની ભલામણ હતી, પરંતુ બાદમાં સરકારના કહેવા પર તેમને અલ્લાહાબાદ હાઈકોર્ટ મોકલી દેવાયા. જસ્ટિસ ભુઈયાએ સવાલ કર્યો કે જ્યારે કોલેજિયમ પોતે જ સ્વીકારે છે કે સરકારના કહેવાથી નિર્ણય બદલાયો છે, ત્યારે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર શંકા જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જજોની બદલીમાં સરકારની કોઈ ભૂમિકા હોવી જોઈએ નહીં; આ સંપૂર્ણપણે ન્યાયતંત્રનું કામ છે.
Reporter: admin







