પુણે જિલ્લાના લોનાવળા નજીક લોહાગઢ કિલ્લા વિસ્તારમાં કેતન અગ્રવાલના મોતના કેસે હવે ચોંકાવનારો વળાંક લીધો છે. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત માનવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસ આગળ વધતાં હવે હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. કેતન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા અને પરિવાર તરફથી તેની તૈયારીઓ પણ ધામધૂમથી ચાલી રહી હતી. આ દરમિયાન કેતન પોતાની મંગેતર સિયા ગોયલ અને કેટલાક મિત્રો સાથે તેનો જન્મદિવસ ઉજવવા ટ્રેકિંગ માટે લોહાગઢ પહોંચ્યો હતો, જ્યાં આ દુર્ઘટના બની હતી.
પ્રાથમિક માહિતી મુજબ, કેતન પહાડી પર ફોટો પાડતા સમયે સંતુલન ગુમાવી 400 ફૂટ ઊંડી ખીણમાં પટકાયો હતો. સ્થળ પર હાજર લોકોએ પણ આ બનાવને અકસ્માત ગણાવ્યો હતો, પરંતુ પોલીસે સ્થળની તપાસ અને આસપાસના CCTV ફૂટેજની ચકાસણી કરતાં અનેક શંકાસ્પદ મુદ્દા સામે આવ્યા હતા. ફૂટેજમાં એક સંદિગ્ધ યુવક નજરે પડ્યો હતો, જે ગરમી હોવા છતાં હૂડી પહેરીને ફરતો હતો અને પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતો દેખાયો હતો. ત્યારબાદ પોલીસે મોબાઇલ કોલ ડિટેલ્સ, લોકેશન ડેટા અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ વધુ ઘેરી બનાવી હતી.
તપાસ દરમિયાન કેતનની મંગેતર સિયા ગોયલ અને તેની એક મહિલા મિત્રનું નામ પણ શંકાના ઘેરામાં આવ્યું છે. પોલીસને શંકા છે કે કેતનને પહાડી પરથી ધક્કો મારી મોતને ઘાટ ઉતારવાની પૂર્વયોજિત સડયંત્ર રચાયું હોઈ શકે. જોકે, પોલીસે હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કર્યો નથી. હાલ લોનાવળા ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધીને તમામ પાસાઓથી તપાસ શરૂ કરી છે. લગ્ન પહેલાં બનેલી આ રહસ્યમય ઘટના હવે મહારાષ્ટ્રના સૌથી ચર્ચિત કેસોમાં સામેલ થઈ ગઈ છે.
Reporter: admin







