દિલ્હી: ભારત અને રશિયાએ ફેબુ્રઆરી ૨૦૨૫માં એક મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા,
જેના હેઠળ બંને દેશ હવે એકબીજાના વિસ્તારોમાં ૩,૦૦૦ સૈનિક અને મર્યાદિત સંખ્યામાં નેવી યુદ્ધ જહાજ તથા વિમાન તૈનાત કરી શકશે. રશિયાના સત્તાવાર કાયદાકીય માહિતી આપતા પોર્ટલે આ સમજૂતીના અમલની જાહેરાત કરતા લખ્યું કે રશિયન સંસદે ડિસેમ્બર ૨૦૨૫માં આ સમજૂતીને મંજૂરી આપી હતી.ભારત અને રશિયાએ ઈન્ડો-રશિયા રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ (આરઈએલઓએસ) નામ હેઠળ આ કરાર કર્યા હતા. આ કરારના ભાગરૂપે બંને દેશ એકબીજાના વિસ્તારોમાં મહત્તમ પાંચ યુદ્ધ જહાજ, ૧૦ ફાઈટર વિમાન અને ૩,૦૦૦ સૈનિક એક સાથે તૈનાત કરી શકે છે.
આ સુવિધા શરૂઆતમાં પાંચ વર્ષ માટે હશે, જેને બંને પક્ષોની સહમતીથી વધુ પાંચ વર્ષ માટે લંબાવી શકાશે. રશિયન સંસદની આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના પ્રથમ ઉપાધ્યક્ષ વ્યાચેસ્લાવ નિકોનોવે રાજ્ય ડયુમામાં તેની પુષ્ટી કરી હતી. આ સમજૂતી બંને દેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય સહયોગને વધુ મજબૂત કરશે. વિશેષરૂપે ભારતના રશિયન મૂળના સૈન્ય ઉપકરણોના મેઈન્ટેનન્સ અને રિપેરિંગ માટે આ સમજૂતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેનાથી લાંબાગાળાની સૈન્ય તૈનાતી પણ સરળ થઈ જશે.
Reporter: admin







