News Portal...

Breaking News :

7 વર્ષમાં 36 દેશોમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત લાવવામાં આવ્યા, પ્રત્યાર્પણ પ્રક્રિયામાં આવી ઝડપ

2026-08-04 16:50:56
7 વર્ષમાં 36 દેશોમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત લાવવામાં આવ્યા, પ્રત્યાર્પણ પ્રક્રિયામાં આવી ઝડપ

કેન્દ્ર સરકારે ભાગેડુ ગુનેગારો સામેની કાર્યવાહી વધુ ઝડપી બનાવતા છેલ્લા સાત વર્ષમાં મોટી સફળતા મળ્યાનો દાવો કર્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2019 થી જુલાઈ 2026 દરમિયાન 36 દેશો અને ન્યાયક્ષેત્રોમાંથી કુલ 274 વોન્ટેડ ગુનેગારોને ભારત પરત લાવવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2004 થી 2013 દરમિયાન ભારત માત્ર ચાર ભાગેડુ ગુનેગારોનું જ પ્રત્યાર્પણ કરાવી શક્યું હતું.

સરકારી દસ્તાવેજ મુજબ, ભારત હવે આતંકવાદ, આર્થિક ગુનાઓ, હત્યા, નશીલા પદાર્થોની તસ્કરી, ગેંગસ્ટર પ્રવૃત્તિઓ, દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર કેસોમાં વોન્ટેડ આરોપીઓને વિદેશોમાંથી પરત લાવવામાં સફળ રહ્યું છે. તેમાં અમેરિકાથી તહવ્વુર હુસૈન રાણાનું પ્રત્યાર્પણ પણ એક મહત્વપૂર્ણ કેસ છે.

દસ્તાવેજમાં જણાવાયું છે કે અગાઉ પ્રત્યાર્પણ પ્રક્રિયા અનેક કાનૂની અડચણો, મર્યાદિત પ્રત્યાર્પણ સંધિઓ અને વિવિધ તપાસ એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવને કારણે ધીમી હતી. વર્ષ 2004 થી 2013 દરમિયાન 110થી વધુ પ્રત્યાર્પણ અરજીઓ લાંબા સમય સુધી પેન્ડિંગ રહી હતી.

સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ લાગુ થયા બાદ અને ગૃહ મંત્રાલય દ્વારા પ્રત્યાર્પણને પ્રાથમિકતા આપ્યા પછી આ ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 'ટ્રાયલ ઇન એબ્સેન્શિયા' એટલે કે આરોપીની ગેરહાજરીમાં કેસ ચલાવવાની જોગવાઈથી પણ ન્યાયિક પ્રક્રિયાને આગળ વધારવામાં મદદ મળી છે.

જાન્યુઆરી 2025માં શરૂ કરાયેલા ભારતપોલ (BHARATPOL) પોર્ટલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગ વધુ મજબૂત બન્યો છે. આ પોર્ટલથી સીબીઆઈ, રાજ્ય પોલીસ અને ઇન્ટરપોલ વચ્ચે માહિતીના આદાન-પ્રદાનની પ્રક્રિયા ઝડપી બની છે.

સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2019થી 2026 દરમિયાન લગભગ 17,874 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જ્યારે સંબંધિત કેસોમાં 18,762 કરોડ રૂપિયાની રકમ પરત મેળવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઇન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની પ્રક્રિયામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે કાયદો અમલીકરણ કરતી એજન્સીઓ, ગુપ્તચર તંત્ર, રાજદ્વારી પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય સહયોગના માધ્યમથી વિદેશ ભાગેલા ગુનેગારો સામે કાર્યવાહી વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે. હેતુ એ છે કે ગુનેગારોને કોઈપણ દેશમાં સુરક્ષિત આશરો ન મળે અને પીડિતોને સમયસર ન્યાય મળી શકે.

Reporter: admin

Related Post