News Portal...

Breaking News :

વસ્તી ગણતરી 2027: પ્રથમ તબક્કાનું નોટિફિકેશન જારી, ઘરના સર્વેમાં પૂછવામાં આવશે 33 પ્રશ્નો

2026-01-23 11:15:03
વસ્તી ગણતરી 2027: પ્રથમ તબક્કાનું નોટિફિકેશન જારી, ઘરના સર્વેમાં પૂછવામાં આવશે  33 પ્રશ્નો


દિલ્હી : ભારત સરકારે વસ્તી ગણતરી 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે સરકારે પ્રથમ મોટો નિર્ણય લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે. તે મુજબ, વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલ-2026થી શરૂ થઈને 30 સપ્ટેમ્બર-2026 સુધી ચાલશે. આ તબક્કામાં મુખ્યત્વે મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે અને રહેઠાણને લગતી સુવિધાઓની માહિતી એકત્રિત કરવામાં આવશે. આ કામગીરી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે.



નોટિફિકેશન મુજબ, વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે અને રહેઠાણને લગતી સુવિધાઓની માહિતી એકત્રિત કરવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, દેશમાં પ્રથમ વખત વસ્તી ગણતરી જાતિ સંબંધિત આંકડાઓ ઈલેક્ટ્રોનિક માધ્યમથી એકત્રિત કરવામાં આવશે. એટલે કે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હશે.વસ્તી ગણતરી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં મકાનોનો સર્વે થશે. જ્યારે બીજા તબક્કામાં વસ્તીની ગણતરી થશે. મકાનની ગણતરીનું કામ 2026ના અંતભાગમાં પુરૂ કરવામાં આવશે. દર વખતે વસ્તી ગણતરીનું કામ શિક્ષકોને માથે મારવામાં આવે છે. આ વખતે શિક્ષકો સિવાય બીજા બેરોજગારોને પણ વસ્તી ગણતરીનું કામ સોંપાશે અને એમને લગભગ 20 હજાર સુધીનું વળતર આપવામાં આવશે. વસ્તી ગણતરીને સફળ કરવા માટે વાહનો સહીત બીજી સગવડો માટે બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે. વસ્તી ગણતરી કરનારાઓને તાલીમ પણ આપવામાં આવશે. ખાસ કરીને ડિજિટલ ડેટા એકત્રીત કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. દેશમાં લગભગ 125 રાષ્ટ્રીય ટ્રેનર્સ, અઢી હજાર માસ્ટર ટ્રેનર્સ અને પચાસ હજાર ફીલ્ડ ટ્રેનર્સ મળીને ગણતરી કરશે.



સરકાર પૂછશે આ 33 પ્રશ્નો:-
1.મકાન નંબર (નગરપાલિકા કે સ્થાનિક સત્તાધિકારી અથવા વસ્તી ગણતરી નંબર)
2.વસ્તી ગણતરી મકાન નંબર
3.વસ્તીગણતરી મકાનના ભોંયતળિયામાં વપરાયેલી મુખ્ય સામગ્રી
4.વસ્તી ગણતરી મકાનની દીવાલમાં વપરાયેલી મુખ્ય સામગ્રી
5.વસ્તી ગણતરી મકાનની છતમાં વપરાયેલી મુખ્ય સામગ્રી
6.વસ્તી ગણતરી મકાનનો ઉપયોગ
7.વસ્તી ગણતરી મકાનની હાલત
8.પરિવાર ક્રમાંક
9.પરિવારમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા
10.પરિવારના વડાનું નામ
11.પરિવારના વડાનું લિંગ
12.શું પરિવારના વડા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્ય સાથે સંબંધિત છે?
13.મકાનની માલિકીની સ્થિતિ
14.પરિવાર પાસે રહેવા માટે ઉપલબ્ધ રૂમોની સંખ્યા
15.પરિવારમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા
16.પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત
17.પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા
18.પ્રકાશનો મુખ્ય સ્ત્રોત
19.શૌચાલયની ઉપલબ્ધતા
20.શૌચાલયનો પ્રકાર
21.ગંદા પાણીનો નિકાલ
22.સ્નાનગૃહની ઉપલબ્ધતા
23.રસોડું અને એલપીજી/પીએનજી કનેક્શનની ઉપલબ્ધતા
24.રાંધવા માટે વપરાતું મુખ્ય બળતણ
25.રેડિયો/ટ્રાન્ઝિસ્ટર
26.ટેલિવિઝન
27.ઇન્ટરનેટ સુવિધા
28.લેપટોપ/કોમ્પ્યુટર
29.ટેલિફોન/મોબાઈલ ફોન/સ્માર્ટ ફોન
30.સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ/મોપેડ
31.કાર/જીપ/વાન
32.પરિવાર દ્વારા વપરાતું મુખ્ય અનાજ
33.મોબાઈલ નંબર (માત્ર વસ્તી ગણતરી સંબંધી સંપર્ક માટે)
ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, પરંતુ 2021ની વસ્તી ગણતરી કોવિડ-19 મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી. અગાઉ 2011માં છેલ્લી ગણતરી થઈ હતી. આ પહેલા ભારતમાં વસતી ગણતરીને લઈને કેન્દ્ર સરકારે બુધવારે (7 જાન્યુઆરી, 2026) નોટિફિકેશન જાહેર કર્યું હતું. વસ્તી ગણતરી બે તબક્કામાં થશે. જેમાં પહેલા તબક્કામાં 1 એપ્રિલથી દેશભરના ઘરની નોંધણી કરાશે. આ કામ કેન્દ્ર સરકારે રજિસ્ટ્રાર જનરલ અને આ વસ્તી ગણતરી કમિશ્નરની કચેરી દ્વારા કરવામાં આવશે. આમ વસ્તી ગણતરી પહેલા ઘરની નોંધણી કરવાની પ્રક્રિયાને લઈને નાગરિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. જેમાં ઘરના આકાર, અનેક ઘર હોય તે અને ભાડેથી રહેતા હોય તેવા લોકોના મનમાં અનેક સવાલો છે.

Reporter: admin

Related Post