ભારતીય વાયુસેનાની ક્ષમતામાં વધારો કરતું C-295 સૈન્ય પરિવહન વિમાન તેની આધુનિક સુવિધાઓ અને વિશેષ ક્ષમતાઓને કારણે ચર્ચામાં છે. આ વિમાન કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ તેમજ કાચા અથવા ટૂંકા રનવે પરથી પણ સરળતાથી ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. તેથી તેને સૈન્ય અભિયાન, રાહત અને બચાવ કામગીરી તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે અત્યંત ઉપયોગી માનવામાં આવે છે.
C-295 વિમાન એક સાથે 71 જવાનો અથવા અંદાજે 9 ટન સુધીનો સૈન્ય સામાન અને લોજિસ્ટિક સામગ્રી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જરૂર પડે ત્યારે તેમાં સ્ટ્રેચર અને તબીબી સાધનો લગાવી તેને એર એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જેના કારણે ઘાયલ જવાનો અને નાગરિકોને ઝડપથી સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું શક્ય બને છે.
આ વિમાનની સૌથી મોટી વિશેષતા તેની શોર્ટ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ (STOL) ક્ષમતા છે. તે ટૂંકા તેમજ કાચા રનવે પરથી પણ સુરક્ષિત રીતે ઉડાન ભરી શકે છે અને લેન્ડિંગ કરી શકે છે. જેના કારણે સરહદી અને દુર્ગમ વિસ્તારોમાં સૈન્ય સહાય અને જરૂરી સામગ્રી પહોંચાડવી વધુ સરળ બને છે.
C-295 આધુનિક એવિઓનિક્સ, અદ્યતન નેવિગેશન સિસ્ટમ અને ઈંધણ બચત કરનારા એન્જિનથી સજ્જ છે. જેના કારણે તેની કામગીરી વધુ અસરકારક બને છે અને જાળવણીનો ખર્ચ પણ પ્રમાણમાં ઓછો રહે છે. ભારતીય વાયુસેના જૂના પરિવહન વિમાનોની જગ્યાએ ધીમે ધીમે C-295ને પોતાના કાફલામાં સામેલ કરી રહી છે, જેના કારણે દેશની વ્યૂહાત્મક અને લોજિસ્ટિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
નિષ્ણાતોના મતે, 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ભારતમાં C-295 વિમાનનું ઉત્પાદન અને એસેમ્બલી થવી દેશની સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી માત્ર વાયુસેનાની શક્તિમાં વધારો નહીં થાય, પરંતુ સંરક્ષણ ઉત્પાદન અને રોજગારીના ક્ષેત્રમાં પણ નવી તકો ઊભી થશે.
Reporter: admin







