News Portal...

Breaking News :

ભાવનગર લઠ્ઠાકાંડમાં SP અને IG સામે કોઈ કાર્યવાહી નહીં, તેમની જવાબદારી ક્યારે નક્કી થશે?...

2026-09-03 12:50:33
ભાવનગર લઠ્ઠાકાંડમાં SP અને IG સામે કોઈ કાર્યવાહી નહીં, તેમની જવાબદારી ક્યારે નક્કી થશે?...

ગુજરાતમાં ઝેરી દારૂ અને લઠ્ઠાકાંડની ઘટના બને ત્યારે પોલીસ તંત્ર તરત જ એક્શન મોડમાં આવી જાય છે. દરોડા પડે છે, બુટલેગરો પકડાય છે, નીચલા સ્તરના પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે અને તપાસ માટે SIT કે અન્ય વિશેષ ટીમો બનાવવામાં આવે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે સમગ્ર વિસ્તારમાં લાંબા સમયથી દારૂનો ગેરકાયદે ધંધો ચાલતો હોય અને તેના કારણે લોકોના જીવ જતા હોય ત્યારે માત્ર PI, PSI કે પોલીસ કર્મચારીઓ સામે જ કાર્યવાહી કરીને જવાબદારી પૂરી થઈ જાય છે? ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી જવાબદારી ક્યારે પહોંચશે?

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ, સસ્પેન્શન અને જવાબદારો સામે પગલાં લેવાયા છે. પરંતુ બીજી તરફ હવે ફરી એકવાર બોટાદના 2022ના લઠ્ઠાકાંડ અને સુરતના ભૂતકાળના ઝેરી દારૂકાંડની યાદ તાજી થઈ છે. ત્રણેય ઘટનાઓની પ્રકૃતિ અલગ હોઈ શકે, પરંતુ એક મુદ્દો એકસરખો છે—જો વિસ્તારમાં ગેરકાયદે દારૂનું નેટવર્ક ચાલી રહ્યું હતું તો સ્થાનિક પોલીસ તંત્રને તેની જાણ ન હતી કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા?

ભાવનગરના તાજેતરના લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી છે. અનેક સ્તરે તપાસ ચાલી રહી છે અને જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ લોકોમાં અને પોલીસ તંત્રને નજીકથી જોતા વર્તુળોમાં એક મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો તપાસમાં સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવે તો તેની જવાબદારી માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ સુધી મર્યાદિત કેમ રહે?

કોઈ પણ જિલ્લામાં દારૂનો ગેરકાયદે વેપાર એક દિવસમાં ઊભો થતો નથી. બુટલેગરોનું નેટવર્ક, સપ્લાય ચેઇન, વેચાણના સ્થળો અને સ્થાનિક સંપર્કો વગર આ ધંધો લાંબા સમય સુધી ચાલી શકે નહીં. ત્યારે પ્રશ્ન એ છે કે જો કોઈ વિસ્તારમાં ગેરકાયદે દારૂ ખુલ્લેઆમ કે છુપાઈને વેચાતો હોય તો તેની જાણકારી પોલીસની સ્થાનિક ઇન્ટેલિજન્સ સુધી કેમ ન પહોંચે? અને જો જાણકારી પહોંચી હોય તો કાર્યવાહી કેમ ન થઈ?

જિલ્લા પોલીસ વડા અને રેન્જ IGના સુપરવિઝન પ્રત્યે પણ શંકા જાય તે સ્વાભાવિક છે. તો પછી લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોતની જવાબદારીમાં ઉચ્ચ અધિકારીઓની કોઈ જવાબદેહી નહીં હોય? તેવો સવાલ પૂછાઈ રહ્યો છે.

ભાવનગર કેસમાં પણ હવે તપાસનો સૌથી મહત્વનો મુદ્દો માત્ર આરોપીઓની ધરપકડ નહીં, પરંતુ સમગ્ર તંત્રની જવાબદારી નક્કી કરવાનો હોવો જોઈએ. પોલીસ કર્મચારીને પકડી લેવાથી કે બે-ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી આખા તંત્રની જવાબદારી પૂરી થઈ જતી નથી. જો ગંભીર બેદરકારી હોય તો તપાસની સોય ઉપર સુધી જવી જોઈએ અને જે અધિકારી જે સ્તરે જવાબદાર હોય તેની સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ.

જુલાઈ 2022માં બોટાદ અને અમદાવાદ જિલ્લાની સરહદે થયેલા ચકચારી લઠ્ઠાકાંડમાં 29થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ઝેરી મિથેનોલ કેમિકલની સપ્લાયથી લઈને તે બુટલેગરો સુધી કેવી રીતે પહોંચ્યું તેની તપાસ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. મુખ્ય આરોપીઓ, ડિસ્ટ્રિબ્યુટરો અને બુટલેગરો સુધી તપાસ પહોંચાડવામાં આવી હતી. અનેક આરોપીઓ સામે FIR નોંધાઈ અને ધરપકડો પણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને લઈને પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે SITની રચના કરી હતી.

પરંતુ આજે ફરી બોટાદ લઠ્ઠાકાંડની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે મોટી દુર્ઘટના બાદ માત્ર મેદાનમાં કામ કરતા કર્મચારીઓ જ જવાબદાર હોય છે કે પછી સમગ્ર દેખરેખ તંત્રની જવાબદારી પણ નક્કી થવી જોઈએ? જ્યારે એક જિલ્લામાં લાંબા સમય સુધી બુટલેગરોનું નેટવર્ક ચાલે ત્યારે ઉચ્ચ અધિકારીઓની મોનિટરિંગ વ્યવસ્થા ક્યાં હતી તે પ્રશ્ન પણ એટલો જ મહત્વનો બને છે.

સુરતમાં ભૂતકાળમાં થયેલા ઝેરી દારૂકાંડની ચર્ચા પણ હવે ભાવનગરની ઘટનાના સંદર્ભમાં ફરી થઈ રહી છે. સુરતના કતારગામ, વરેલી સહિતના વિસ્તારોમાં ઝેરી દારૂ પીવાના કારણે અનેક લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હતા. અનેક પીડિતોની આંખોની રોશની જવાની ઘટનાઓ પણ સામે આવી હોવાનું જણાવાયું હતું. આ ઘટનાની ગંભીરતાને જોતા તે સમયે તપાસ ATSને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક બુટલેગરો અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં હત્યાની કલમ સહિત ગંભીર ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જે તે સમયની કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી હતી.


માત્ર સસ્પેન્શન નહીં, જવાબદારીની આખી સાંકળ તપાસવી પડશે

ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં છે. તેથી ઝેરી દારૂના કારણે એક પણ વ્યક્તિનું મોત થાય તે માત્ર ગુનાખોરી નહીં, પરંતુ સમગ્ર અમલવારી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્ન છે. બુટલેગર દારૂ બનાવે છે, સપ્લાયર કેમિકલ પહોંચાડે છે અને વેચનાર લોકો સુધી પહોંચાડે છે, પરંતુ આ આખી ચેઇનને રોકવાની જવાબદારી કોની?

દરેક લઠ્ઠાકાંડ બાદ સરકાર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી, SIT અને ધરપકડની જાહેરાતો થાય છે. પરંતુ જ્યારે ધૂળ બેસી જાય છે ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન પાછળ રહી જાય છે કે આ ઘટના બનવા સુધી જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા હતા?

જો તપાસમાં કોઈ પોલીસ કર્મચારી, અધિકારી કે ઉચ્ચ અધિકારીની સીધી કે આડકતરી બેદરકારી, ફરજમાં ચૂક કે અન્ય કોઈ જવાબદારી સામે આવે તો કાર્યવાહીનો માપદંડ એકસરખો હોવો જોઈએ. માત્ર નીચલા સ્તરના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સમગ્ર તંત્રને ક્લીનચીટ આપવી યોગ્ય નથી.

સુરતના ઝેરી દારૂકાંડના ભૂતકાળ બાદ પણ પાઠ શીખ્યો કે નહીં?

સુરતમાં ભૂતકાળમાં થયેલા ઝેરી દારૂકાંડમાં અનેક લોકોના મોત અને ગંભીર બીમારીની ઘટનાઓ સામે આવી હતી. કતારગામ, વરેલી અને આસપાસના વિસ્તારોમાં થયેલી આ ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રને હચમચાવી નાખ્યું હતું. કેસની ગંભીરતાને કારણે તપાસ ATSને સોંપવામાં આવી હતી અને બુટલેગરો સહિત અનેક આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાવાની કાર્યવાહી પણ ચર્ચામાં રહી હતી.

પરંતુ આજે ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સુરતનો પ્રશ્ન ફરી ઊભો થયો છે કે ભૂતકાળની આવી દુર્ઘટનાઓમાંથી ખરેખર કોઈ બોધપાઠ લેવામાં આવ્યો છે કે નહીં? લઠ્ઠાકાંડ થયા બાદ દરોડા અને ચેકિંગ શરૂ કરવા કરતાં ગેરકાયદે દારૂના નેટવર્ક સામે સતત કાર્યવાહી કેમ ન થાય?

જો પોલીસ, સ્થાનિક ઇન્ટેલિજન્સ અને ઉચ્ચ અધિકારીઓની મોનિટરિંગ વ્યવસ્થા સતત સક્રિય રહે તો ઝેરી દારૂ લોકો સુધી પહોંચે તે પહેલાં જ સપ્લાય ચેઇન તોડી શકાય. જનતાને હવે માત્ર કાર્યવાહી નહીં, પરંતુ કાયમી જવાબદારીની વ્યવસ્થા જોઈએ છે.

બોટાદમાં 2022ના લઠ્ઠાકાંડમાં 29થી વધુ મોત બાદ પણ જવાબદારીનો પ્રશ્ન જીવંત

જુલાઈ 2022માં બોટાદ લઠ્ઠાકાંડમાં 29થી વધુ લોકોના મોત થયા બાદ ગુજરાતમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. તપાસમાં મિથેનોલ જેવા ઝેરી કેમિકલની સપ્લાયથી લઈને બુટલેગરો સુધી પહોંચેલી ચેઇનની તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના પીપલજ વિસ્તારથી કેમિકલ ચોરી અને પછી તે બોટાદ સુધી પહોંચ્યાની તપાસ સામે આવી હતી. અનેક આરોપીઓ સામે ફરિયાદ, ધરપકડ અને પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી થઈ હતી. SITની રચના કરીને સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી.

પરંતુ આજે ફરી સવાલ એ છે કે આટલી મોટી દુર્ઘટના માત્ર થોડા પોલીસ કર્મચારીઓની બેદરકારીથી બની હતી કે પછી સમગ્ર દેખરેખ વ્યવસ્થામાં ગંભીર ખામી હતી?

લઠ્ઠાકાંડ પછી જ કાર્યવાહી કેમ?

દરેક લઠ્ઠાકાંડ પછી એક જ પેટર્ન જોવા મળે છે—મોત થાય, લોકો હોસ્પિટલમાં પહોંચે, આક્રોશ ફાટી નીકળે અને પછી પોલીસ દરોડા, ધરપકડ અને સસ્પેન્શન શરૂ કરે. પરંતુ સૌથી કડવો સવાલ એ છે કે કાર્યવાહી દુર્ઘટના પહેલાં કેમ નથી થતી?

બુટલેગર એક દિવસમાં નેટવર્ક ઊભું કરતો નથી. ઝેરી કેમિકલ એક દિવસમાં લોકો સુધી પહોંચતું નથી. વેચાણ માટે સ્થાનિક સપોર્ટ અને સપ્લાય ચેઇન લાંબા સમય સુધી કામ કરતી હોય છે. તો પછી પોલીસની ઇન્ટેલિજન્સ વ્યવસ્થા ક્યાં હતી? સ્થાનિક અધિકારીઓની જવાબદારી ક્યાં હતી? અને ઉચ્ચ અધિકારીઓની મોનિટરિંગ વ્યવસ્થા શું કરી રહી હતી?

જો કોઈ કર્મચારી કે અધિકારી તપાસમાં દોષિત સાબિત થાય તો તેની સામે કડક કાર્યવાહી જરૂરી છે, પરંતુ જવાબદારીનો માપદંડ હોદ્દા પ્રમાણે બદલાઈ ન જવો જોઈએ. જનતાને માત્ર ધરપકડના આંકડા નહીં, પરંતુ પારદર્શક તપાસ અને જવાબદાર વ્યક્તિ સુધી પહોંચતી કાર્યવાહી જોઈએ છે.

લઠ્ઠાકાંડ રોકવાનો એકમાત્ર રસ્તો ઘટના પછીની કાર્યવાહી નહીં, પરંતુ ઘટના પહેલાંનું કડક અને સતત મોનિટરિંગ છે.

ગગનદીપ ગંભીરના રિપોર્ટના આધારે સરકાર કાર્યવાહી કરી શકે છે...

આ કેસમાં પોલીસ અધિકારીઓની નિષ્ફળતા સહિતના તમામ મુદ્દાઓ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વડા અને આઈજીપી ગગનદીપ ગંભીર દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડની તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગગનદીપ ગંભીરએ ભાવનગરમાં કેમ્પ કરીને આરોપીઓ, સાક્ષીઓ તેમજ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને કર્મચારીઓની મેરેથોન અને કડક પૂછપરછ કરી છે. સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા કે બેદરકારી અંગે તપાસના અહેવાલ બાદ કડક પગલાં લેવામાં આવશે તેવી સંભાવના છે.

આઈજી ગગનદીપ ગંભીરએ સીબીઆઈમાં પણ ભૂતકાળમાં કામ કર્યું છે અને તેમની કડક અધિકારી તરીકેની છાપ છે. તેમના રિપોર્ટના આધારે સરકાર કાર્યવાહી કરશે તે વાત ચોક્કસ છે. અહેવાલ તૈયાર થયા બાદ આ મામલે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં એક હાઈલેવલ મીટિંગ પણ યોજાઈ છે, જેમાં કથિત બેદરકારી બદલ સ્થાનિક પોલીસ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી છે.

ગગનદીપ ગંભીરની આ કડક તપાસ અને અહેવાલને પગલે જ વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીઓ સાથેની શંકાસ્પદ ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ અહેવાલમાં રજૂ કરાયેલી વિગતોના આધારે બેદરકાર રહેલા સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે વિભાગીય તપાસ અને સસ્પેન્શન જેવા કડક પગલાં તોળાઈ રહ્યા છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ મોટી નિષ્ફળતા સાબિત થઈ

સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં સ્થાનિક પોલીસ અને અધિકારીઓની ગંભીર નિષ્ફળતા અને બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે. આ લઠ્ઠાકાંડ પાછળ સ્થાનિક કાયદા અમલીકરણ તંત્રની નબળાઈ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

ગાંધીનગરથી આવેલી SMCની ટીમે ગણતરીના દિવસોમાં આખા નેટવર્કનો પર્દાફાશ કરી દીધો, જ્યારે સ્થાનિક પોલીસ પોતાના વિસ્તારમાં ચાલી રહેલી આવી મોટી પ્રવૃત્તિથી સાવ અજાણ હતી અથવા તેણે આંખ આડા કાન કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી બેદરકારીના આધારે વરતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. પઢેરિયા સહિત બે પીઆઈ અને અન્ય પાંચ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટનામાં માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ જ નહીં, પરંતુ દેખરેખ રાખવામાં નિષ્ફળ નીવડેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ મોટી નિષ્ફળતા સાબિત થઈ છે.
શું તેઓ કોઈ મોટી રાજકીય ઓથ ધરાવે છે કે તેમની સામે હજુ સુધી કાર્યવાહી કરાઈ નથી, તે મોટો સવાલ છે. તેમને અત્યાર સુધી કેમ છાવરવામાં આવ્યા, તેનો ખુલાસો પણ થવો જરૂરી છે, કારણ કે 13 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Reporter: admin

Related Post