દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાણીતી પેઇનકિલર દવા નિમેસુલાઇડ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ ૧૦૦ એમજીથી વધુ પાવરવાળી નિમેસુલાઇડ દવા પર લગાવવામાં આવ્યો છે.
સરકારે આરોગ્યલક્ષી જોખમોનો હવાલો આપતા આ નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રાલયે ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સાથે સલાહમંત્રણા કર્યા પછી આ નિર્ણય લીધો છે.ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની કલમ ૧૯૪૦ની જોગવાઈ ૨૬એ હેઠળ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ૧૦૦ એમજીથી વધુ પ્રમાણમાં નિમેસુલાઇડનું સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. પીડાથી છૂટકારો મેળવવા માટે બજારમાં ઘણા સલામત વિકલ્પ હાજર છે.
નિમેસુલાઇડ એક નોન સ્ટેરોઇડનલ દવા છે. ૨૦૧૧માં આરોગ્ય મંત્રાલયે ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે નિમેસુલાઇડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. યુરોપના કેટલાય દેશોમાં નિમેસુલાઇડની દવા પર જ સંપૂર્ણ પ્રતિબંધ છે. ફિનલેન્ડ, સ્પેન, આયરલેન્ડ અને બેલ્જિયમ જેવા યુરોપીયન દેશોએ ૨૦૦૭માં જ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ઉપરાંત કેનેડા, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુકેએ પણ નિમેસુલાઇડના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે.
Reporter: admin







