યાત્રાધામ અંબાજીમાં મા અંબેના પ્રાગટ્ય મહોત્સવ પહેલા ભક્તોએ સોનાનું મોટું દાન કર્યું છે.
અમદાવાદના ભક્તોએ 43 લાખ 51 હજારની કિંમતનો સોનાનો મુગટ માતાજીને અર્પણ કર્યો છે.મુગટ અંદાજે 620 ગ્રામ શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવેલ છે. જણાવી દઈએ કે, પોષી પૂનમ પૂર્વે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીના મંદિરમાં આ મુગટ અર્પણ કરાયો હતો. મુગટમાં કિંમતી હીરા અને રત્નો જડવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.મીના કારીગરી અને રત્નોનો ઉપયોગ કરીને કારીગરોએ આ ભવ્ય મુગટ તૈયાર કરવા માટે 3 મહિના જેટલો સમય લગાવ્યો છે.
શંકરાચાર્ય વિધુશેખર ભારતીજીના માર્ગદર્શન હેઠળ નિર્મિત આ મુગટમાં સૂર્યના કિરણો, મોરપીંછ અને સહસ્ત્ર કમળ જેવી શાસ્ત્રોક્ત આકૃતિઓ કંડારાઈ છે.સુવર્ણ મુગટ અર્પણ વિધિ દરમિયાન જય ભોલે ગ્રુપના તમામ સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. વધુમાં આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, ડીડીઓ અને અધિક કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin







