ગળતેશ્વર તાલુકાના રસુલપુર અને પડાલ ગામ વચ્ચે મહીસાગર કેનાલ પર આવેલો પુલ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. પુલમાં મોટું અને જોખમી ગાબડું પડી જતાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. પુલની ખરાબ સ્થિતિને કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે અને તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રસુલપુર અને પડાલ ગામના ખેડૂતો માટે આ પુલ ખેતરો સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે. દરરોજ ટ્રેક્ટર, કૃષિ સાધનો, પશુઓ તેમજ ખેતમજૂરો આ માર્ગનો ઉપયોગ કરે છે. પુલમાં પડેલા ગાબડાને કારણે ખેડૂતોને જીવના જોખમે અવરજવર કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાલની સ્થિતિમાં ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
ગ્રામજનોએ આ મુદ્દે અનેક વખત સંબંધિત વિભાગ અને અધિકારીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં આજદિન સુધી પુલના સમારકામ માટે કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ વધી રહ્યો છે.
Reporter: admin







