News Portal...

Breaking News :

"નશા મુક્ત વડોદરા" માટે પોલીસ કમિશનરનો ત્રિપાંખીયો વ્યૂહ

2026-06-17 15:13:11

કડક અમલીકરણ, પુનર્વસન અને જનજાગૃતિ પર ભાર; ડ્રગ્સ નેટવર્ક સામે કાર્યવાહી થશે વધુ સખત

વડોદરા: શહેરને નશાના દુષણથી મુક્ત બનાવવા માટે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમરે "નશા મુક્ત વડોદરા" અભિયાન હેઠળ ત્રિપાંખીયા વ્યૂહની જાહેરાત કરી છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સના વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી સાથે નશાના ભોગ બનેલા લોકોના પુનર્વસન અને જનજાગૃતિ દ્વારા લોકોનો સહકાર મેળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અભિયાનના પ્રથમ તબક્કામાં ઇન્ટેલિજન્સ આધારિત કામગીરી, સતત દેખરેખ અને અસરકારક રેડ દ્વારા ડ્રગ્સ સપ્લાય ચેઇનને તોડવા માટે કડક અમલીકરણ કરવામાં આવશે. બીજા તબક્કામાં નશાની લતનો ભોગ બનેલા લોકોના પુનર્વસન અને સારવાર માટે જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજના વિવિધ વર્ગોને જોડીને નશા વિરોધી અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવશે.

તાજેતરમાં વડોદરા શહેર એસઓજી (SOG) દ્વારા ₹1 લાખથી વધુ કિંમતનો કોડીન સહિતનો માદક પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો હતો, જે પોલીસની સક્રિય કામગીરીનું ઉદાહરણ છે. પોલીસ તંત્રનું માનવું છે કે નશાના વેપાર સામે સતત અને સંકલિત કાર્યવાહી દ્વારા શહેરમાં ડ્રગ્સ નેટવર્કને નાબૂદ કરી શકાય છે.

આગામી દિવસોમાં કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે તમામ ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરો માટે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન એનડીપીએસ કાયદાની જોગવાઈઓ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP), તપાસની પદ્ધતિઓ અને ઓપરેશનલ સજ્જતા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં ડ્રગ્સ સંબંધિત હોટસ્પોટ્સની ઓળખ કરીને ત્યાં વિશેષ નજર રાખવામાં આવશે અને ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. "નશા મુક્ત વડોદરા" અભિયાનને સફળ બનાવવા માટે નાગરિકોને પણ માહિતી આપીને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Reporter:

Related Post