ગાંધીનગર : ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આજે સોમવારે (24મી ફેબ્રુઆરી) આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચી રહ્યા છે.
જેને લઈને સત્યાગ્રહ છાવણીએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. નોંધનીય છે કે, આંદોલનને મજબૂત બનાવવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરી હાજર રહેવા માટે અપીલ કરી હતી.છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલી રહેલીએ ભરતી પ્રક્રિયાને ઝડપથી પુરૂ કરી કરવા રજૂઆત કરવામાં આવશે. ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ વખતે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને સરકાર સામે લડી લેવા માટે પુરજોશમાં તૈયારીઓ કરી લીધી છે. આજે ગાંધીનગર ખાતે રેલી કાઢી આંદોલનનું રણશિંગૂ ફૂંકશે.રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2023માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023માં અનુક્રમે TAT(S) અને TAT(HS)ની દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાને લાંબો સમય વીતી ગયો હોવા છતા 24,700 શિક્ષકોની ભરતી ક્રમિક અને ઝડપી પૂર્ણ કરવા સાથે ચાલુ ભરતી પ્રકિયામાં જગ્યા વધારો કરવા બાબતે શિક્ષણમંત્રી તેમજ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં યોગ્ય વળતો જવાબ મળ્યો નથી.
Reporter: admin