News Portal...

Breaking News :

ત્રણ શરતો સાથે સોનમ વાંગચુકે આપ્યા અનશન સમાપ્ત કરવાના સંકેત, સરકારના નિર્ણય પર નજર

2026-07-20 10:15:11
ત્રણ શરતો સાથે સોનમ વાંગચુકે આપ્યા અનશન સમાપ્ત કરવાના સંકેત, સરકારના નિર્ણય પર નજર

શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને પરીક્ષા ગેરરીતિઓના વિરોધમાં ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પ્રથમ વખત અનશન સમાપ્ત કરવા માટેની ત્રણ મુખ્ય શરતો જાહેર કરી છે. હોસ્પિટલમાંથી જારી કરેલા સંદેશમાં તેમણે સ્પષ્ટ કર્યું કે જો તેમની માંગણીઓ પ્રત્યે સરકાર અને રાજકીય પક્ષો ગંભીરતા દાખવશે તો તેઓ અનશન સમાપ્ત કરવા તૈયાર છે.

વાંગચુકે જણાવ્યું કે તેમનો આંદોલન કોઈ વ્યક્તિગત હિત માટે નહીં પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે છે. તેમના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે હવે આ મુદ્દે કોઈ સમાધાન નીકળી શકે છે.


વાંગચુકની પ્રથમ શરત મુજબ કેન્દ્ર સરકારે પરીક્ષા પેપર લીક સહિતના શિક્ષણ સંબંધિત વિવાદોમાં જવાબદારી સ્વીકારીને દોષિતો સામે કડક કાર્યવાહી તથા શિક્ષણ વ્યવસ્થામાં અસરકારક સુધારા અમલમાં મૂકવા જોઈએ. તેમના મતે માત્ર તપાસથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ જવાબદારી નક્કી કરીને સ્થાયી સુધારા જરૂરી છે.

બીજી શરત તરીકે તેમણે જણાવ્યું કે જો સરકાર તેમની પ્રથમ માંગ સ્વીકારતી ન હોય તો તેમને અને તેમના સાથીઓને સંસદ સુધી જવાની મંજૂરી આપવામાં આવે. તેઓ વિવિધ રાજકીય પક્ષોના સાંસદોને સીધા મળી પોતાની માંગણીઓ રજૂ કરવા માંગે છે. તેમના જણાવ્યા મુજબ જો સાંસદો સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે તો તેઓ અનશન સમાપ્ત કરવા વિચારશે.
ત્રીજી શરતમાં વાંગચુકે જણાવ્યું કે જો સ્વાસ્થ્યના કારણોસર તેઓ સંસદ સુધી જઈ ન શકે તો વિવિધ રાજકીય પક્ષોના સાંસદો અને નેતાઓ હોસ્પિટલમાં આવી તેમની માંગણીઓને સંસદમાં ઉઠાવવાની ખાતરી આપે. આવું આશ્વાસન મળતાં તેઓ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે.
વાંગચુકે પોતાના સંદેશમાં પુનરોચ્ચાર કર્યો કે તેમનો આંદોલન કોઈ રાજકીય લાભ માટે નથી. પરીક્ષા ગેરરીતિઓ અને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ દેશના યુવાનોના ભવિષ્યને અસર કરી રહી છે. તેમણે સરકાર અને તમામ રાજકીય પક્ષોને આ મુદ્દે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને વિદ્યાર્થીઓના હિતમાં જરૂરી નિર્ણય લેવા અપીલ કરી છે.

Reporter: admin

Related Post