કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પદ પરથી રાજીનામું આપ્યા બાદ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. વાંગચુકે પોતાના સત્તાવાર X (પૂર્વે ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ ઘટનાને "લોકશાહીની જીત" ગણાવી છે.
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોનમ વાંગચુકે પોતાની પોસ્ટમાં લખ્યું કે, "આ લોકશાહીની જીત છે. આ શાંતિ, ધીરજ અને અડગ સંકલ્પની જીત છે." તેમણે જણાવ્યું કે રસ્તા પર શરૂ થયેલી જનઆવાજ હવે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા સુધી પહોંચી છે અને તેના સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે.
વાંગચુકે CJP, દેશની Gen-Z પેઢી તેમજ દેશના વિવિધ ખૂણેથી શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવનારા તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે લોકોએ ડરનો માહોલ છોડીને એકજૂટ થઈ જવાબદારી નક્કી કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હવે જવાબદારી નક્કી થયા બાદ શિક્ષણ વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રોમાં જરૂરી સુધારાઓ તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે. તેમના મતે આ ઘટના માત્ર એક વ્યક્તિના રાજીનામા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન લાવવાની તક છે.
Reporter: admin







