અમદાવાદ: કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આગામી 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ભવ્ય 'કાંકરિયા કાર્નિવલ' પૂર્વે એક મોટો વિવાદ સર્જાયો છે.
AMC દ્વારા મુલાકાતીઓની સુરક્ષા અને સંભવિત દુર્ઘટનાઓને ધ્યાને રાખીને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અંદાજે 5,000 કરોડથી વધુનું સુરક્ષા કવચ લેવામાં આવ્યું છે. આ વીમો આતંકવાદ, ભૂકંપ અને આગ જેવી આપત્તિઓ સામે રક્ષણ પૂરું પાડે છે, જેના માટે તંત્રએ 3 લાખ 91 હજારનું પ્રીમિયમ પણ ચૂકવ્યું છે. જોકે, વીમા કંપનીના નિયમોને લઈને હવે કાયદાકીય ગૂંચ ઉભી થઈ છે, જેણે વિવાદને જન્મ આપ્યો છે.આ વિવાદનું મુખ્ય કારણ વીમા કંપનીની શરત છે, જે મુજબ કોઈ પણ અકસ્માત કે ઘટના સમયે વળતર મેળવવા માટે મુલાકાતી પાસે 'કાયદેસરની ટિકિટ' હોવી અનિવાર્ય છે. બીજી તરફ, AMC દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્નિવલમાં લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
આમ, જ્યારે તંત્ર કોઈ ટિકિટ જ ઈસ્યુ કરતું નથી, ત્યારે પ્રશ્ન એ ઉઠ્યો છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો મુલાકાતીઓ વળતરનો દાવો કેવી રીતે કરી શકશે? આ ટેકનિકલ ખામીને કારણે લાખોના પ્રીમિયમ ખર્ચીને લીધેલો વીમો ખરેખર નાગરિકોને કામ લાગશે કે કેમ તે બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે.વિવાદનું વંટોળ ઘેરાતા ઊંઘતા AMCને પણ લાગ્યું કે વીમાના નિયમોમાં લોચાલાપસી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા કરી છે કે આ શરત દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે અને કંપની સાથે ચર્ચા કરવામાં આવશે.AMC દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: admin







