વડોદરા, તા. નંદેસરી વિસ્તારમાં રાજવીરસિંહ સિંધા પર થયેલા જીવલેણ હુમલા કેસમાં પોલીસ તપાસ વધુ તેજ બની છે. કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને સાથે રાખી નંદેસરી પોલીસે આજે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર બનાવનું રી-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. પોલીસે હુમલાની ઘટના કઈ રીતે બની, આરોપીઓએ કયા સ્થળેથી હુમલો કર્યો અને બાદમાં કેવી રીતે ફરાર થયા તે મુદ્દાઓ પર ઘટનાક્રમની પુનઃરચના કરી હતી.
પ્રાથમિક તપાસ મુજબ જૂની અદાવતના કારણે રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ ઉર્ફે લાલો અને તેના સાગરિતોએ રાજવીરસિંહ સિંધા પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ હુમલામાં રાજવીરસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી અને પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા તાત્કાલિક તપાસનો દોર શરૂ કર્યો હતો.
પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આજે હાથ ધરાયેલા રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓની હાજરીમાં હુમલાની સમગ્ર કડીને ફરીથી જોડવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ બનાવને લગતા કેટલાક મહત્વના પુરાવાઓ અને ટેક્નિકલ વિગતો પણ એકત્રિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રી-કન્સ્ટ્રક્શનથી હુમલાની ચોક્કસ પરિસ્થિતિ, હુમલાખોરોની ભૂમિકા અને બનાવ પાછળના કારણોને વધુ સ્પષ્ટ કરવામાં મદદ મળશે. હાલ નંદેસરી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ આગળ ધપાવી રહી છે અને ટૂંક સમયમાં અન્ય આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
Reporter: admin







