દિલ્હી : અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર ભયાનક હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.
ઈરાને ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલો ઝિંકી છે અને ફારસની ખાડીમાં બહેરીન, કતર, કુવૈત, સંયુક્ત આરબ અમીરાતમાં આવેલા અમેરિકન સેન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. ત્યારે મિડલ ઈસ્ટ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે ઈરાને સંયુક્ત આરબ અમિરાત પર કરેલા હુમલાની નિંદા કરી છે.મિડલ ઈસ્ટમાં ગંભીર પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ અને તેમના ભાઈ સમાન શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
વડાપ્રધાને UAE પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને આ હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં ભારત મજબૂતીથી UAE ની સાથે ઉભું છે. વડાપ્રધાને UAEમાં વસતા ભારતીય સમુદાયની કાળજી રાખવા બદલ યુએઈના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. ભારતે આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા અને પ્રાદેશિક શાંતિ, સુરક્ષા તેમજ સ્થિરતા જાળવવા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
Reporter: admin







