મહાન ક્રાંતિકારી શહીદ ઉધમસિંહના બલિદાન દિવસે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે શહીદ ઉધમસિંહનું સાહસ, શૌર્ય અને રાષ્ટ્રભક્તિથી ભરેલું જીવન દેશની દરેક પેઢીને માતૃભૂમિના સ્વાભિમાનની રક્ષા માટે પ્રેરિત કરતું રહેશે.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું હતું કે, "મહાન ક્રાંતિકારી શહીદ ઉધમસિંહને તેમના બલિદાન દિવસે સાદર નમન. હિંમત અને હૌસલાથી ભરપૂર તેમની જીવનગાથા દેશની દરેક પેઢીને માતૃભૂમિના સ્વાભિમાનની રક્ષા માટે પ્રેરણા આપતી રહેશે."
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શહીદ ઉધમસિંહને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે તેમનું બલિદાન અને દેશભક્તિ સદૈવ દેશવાસીઓને પ્રેરણા આપતી રહેશે. તેમણે કહ્યું કે સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને સાકાર કરતું સશક્ત, સમરસ, ન્યાયપૂર્ણ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું એ જ તેમના પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ છે.
ઉલ્લેખનીય છે કે 26 ડિસેમ્બર, 1899ના રોજ પંજાબમાં જન્મેલા શહીદ ઉધમસિંહે 13 એપ્રિલ, 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને પૂર્ણ કરતાં તેમણે 13 માર્ચ, 1940ના રોજ લંડનમાં બ્રિટિશ શાસનના પૂર્વ પંજાબ લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ'ડાયરની ગોળી મારીને હત્યા કરી હતી. ઉધમસિંહે આ ઘટનાને જલિયાંવાલા બાગના નિર્દોષ શહીદો માટેનો ન્યાય ગણાવ્યો હતો.
બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કર્યા બાદ અદાલતે તેમને ફાંસીની સજા ફટકારી હતી. 31 જુલાઈ, 1940ના રોજ લંડનની પેન્ટનવિલ જેલમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. વર્ષ 1974માં તેમના પાર્થિવ અવશેષોને ભારત લાવવામાં આવ્યા હતા. આજે તેમના બલિદાન દિવસે સમગ્ર દેશ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે.
Reporter: admin







