News Portal...

Breaking News :

હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ : ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના રહીશોનું રસ્તા પર ઉતરીને સિગ્નેચર કેમ્પેઇન

2026-02-08 14:40:19
હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ : ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના રહીશોનું રસ્તા પર ઉતરીને સિગ્નેચર કેમ્પેઇન



અમદાવાદ: એસપી રિંગ રોડ પર હોટેલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

ભાજપના સાંસદ નરહરી અમીનની રજૂઆત બાદ ઔડા અને પોલીસ તંત્ર દ્વારા આ કટને બ્લોક કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં આજે (આઠમી ફેબ્રુઆરી) ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના રહીશોએ રસ્તા પર ઉતરીને સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું છે. લોકોનો આક્ષેપ છે કે રાજકીય નેતાઓની અગવડતા દૂર કરવા માટે સામાન્ય જનતાની સુવિધા છીનવી લેવામાં આવી છે.આ ડિવાઈડર કટ બંધ થવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમણે 3થી 4 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડે છે. ખાસ કરીને ન્યુ ત્રાગડના રહીશોને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જવા માટે આ કટ ખૂબ જ અનુકૂળ રહેતો હતો. 

વિરોધ કરી રહેલી મહિલાઓએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મામલે કેમ રસ નથી લઈ રહ્યા? સ્થાનિકોનું કહેવું છે કે ટ્રાફિકની સમસ્યાના બહાને કટ બંધ કરવાને બદલે ત્યાં ટ્રાફિક સિગ્નલ મૂકવાની જરૂર છે.રહીશોએ આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્થાનિક કોર્પોરેટરોને પણ લેખિતમાં રજૂઆતો કરી છે. જોકે, તંત્ર દ્વારા તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરિણામે, ટ્રાફિકની ગંભીર સમસ્યાથી કંટાળેલા નાગરિકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને તેમની એક જ માંગ છે કે વહેલી તકે આ ડિવાઈડર કટ ફરીથી ખોલવામાં આવે.

Reporter: admin

Related Post