દિલ્હી : ચીન ભૂટાન નજીક આવેલી સરહદો પર છેલ્લા આઠ વર્ષથી નવા ગામડાંઓ બનાવી વસાહત સ્થાપિત કરી રહ્યું છે.
જે ભારત માટે ચિંતાનું મોટુ કારણ બન્યું છે. ડોકલામમાં ચીનની સ્થિતિ મજબૂત બનતાં સિલિગુડી કોરિડોરની સુરક્ષા જોખમાય છે. આ કોરિડોર ભારતની મુખ્ય જમીનને ઉત્તર-પૂર્વીય રાજ્યો સાથે જોડે છે. આ સેટેલાઈટ તસવીરો અંગે હાલ વિદેશ મંત્રાલયે કોઈ પ્રતિક્રિયા આપી નથી. હાલ છેલ્લા કેટલાક વર્ષોથી ચીન દ્વારા ભૂટાનની સરહદો પર બનાવવામાં આવેલા ગામડાંઓની સેટેલાઈટ તસવીરો હોવા છતાં ભૂટાને ચીનની વસાહતનો ઈનકાર કર્યો છે.
2023માં ભૂટાનના પૂર્વ વડાપ્રધાન લોતે ત્શેરિંગે જણાવ્યું હતું કે, ભૂટાનમાં ચીનના કોઈ ઠેકાણાં નથી.રોબર્ટ બાર્નેટ દ્વારા રજૂ રિપોર્ટ અનુસાર, ચીન દ્વારા 2016થી અતિક્રમણ થઈ રહ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 2016માં ચીને ભૂટાનના ક્ષેત્રમાં પ્રથમ ગામ સ્થાપિત કર્યું હતું. આજે 22 ગામ અને વસાહતો વસાવી છે. જેમાં 2284 ઘર છે અને 7000થી વધુ લોકો રહે છે. ચીન ડોકલામમાં છેલ્લા આઠ વર્ષમાં 22 ગામો વસાવી ચૂક્યું છે. 2020 બાદ ચીને ડોકલામ પઠાર નજીક આઠ ગામો અને વસાહત વસાવી હોવાનું સેટેલાઈટ તસવીરો પરથી જાણવા મળ્યું છે. ભૂટાનના પશ્ચિમી ક્ષેત્રમાં ડોકલામ નજીક આઠ ગામડાંઓ પર ચીન પોતાનો અધિકાર દર્શાવી રહ્યો છે. જેમાં ઘણા ગામમાં ચીનની સેનાની ચોકીઓ પણ આવેલી છે. આ 22 ગામમાં સૌથી મોટુ ગામ જિવુ છે.
Reporter: admin