અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' યોજવામાં આવ્યો છે. ત્યારે આ મહોત્સવમાં ગુજરાત, સહિત અન્ય રાજ્યો અને વિદેશથી 1 લાખથી વધુ કાર્યકરો અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહ્યા છે. ત્યારે મહંત સ્વામી મહારાજ સૌ કાર્યકરોને આશીર્વાદ આપવા માટે સ્ટેડિયમમાં પધાર્યા છે. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું હતું, કે 'હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત ન થઈ શક્યો પણ આ આયોજનની ઉર્જા અનુભવી શકું છું. આ દિવ્ય કાર્યક્રમ માટે મહંત સ્વામી તથા સંતોનું અભિવાદન તથા નમન કરું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો ઉત્સવ છે. મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે જોડાઈ શક્યો.
PM મોદીએ યુક્રેન યુદ્ધ સમયનો કિસ્સો યાદ કરતાં કહ્યું હતું, કે 'ભુજમાં ભૂકંપ, કેરળમાં પૂર તથા કેદારનાથમાં આવેલી આફતમાં BAPSના કાર્યકરો પરિવાર ભાવથી સેવા કરી હતી. કોરોનાકાળમાં BAPSના મંદિર સેવા કેન્દ્રમાં બદલાઈ ગયા હતા. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનથી પૉલેન્ડ પહોંચી ગયા હતા. તે સમયે મેં BAPSના એક સંત સાથે અડધી રાતે વાત કરી. મેં તેમને આગ્રહ કર્યો કે જે ભારતીય પૉલેન્ડ પહોંચી રહ્યા છે તેમની મદદ માટે મને તમારો સહયોગ જોઈએ. અને રાતોરાત આખા યુરોપથી BAPSના કાર્યકરો મદદ માટે આગળ આવ્યા.'
Reporter: admin