2025ના અંત સુધીમાં લગભગ 10.53 લાખ વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂકી
જંગલ જેવા વિસ્તારોમાં તંબુઓની વસાહતો ઉભરી
મિસિસોગા : કેનેડામાં આગામી મહિનાઓમાં લાખો અસ્થાયી રહેવાસીઓ, ખાસ કરીને ભારતીયો સામે એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લાખો કામચલાઉ વર્ક પરમિટ અને સ્ટડી પરમિટની અવધિ પૂરી થઈ રહી છે, જ્યારે નવી વિઝા શ્રેણીઓ અને કાયમી નિવાસ (PR)ના માર્ગો સતત કડક થઈ રહ્યા છે, જેના કારણે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વસાહતીઓ ખાસ કરીને ભારતીયો માટે એક મોટી મુશ્કેલી ઊભી થઇ શકે છે. મિસિસોગા સ્થિત ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કંવર સેરાહના જણાવ્યા અનુસાર, 2026ના મધ્ય સુધીમાં ઓછામાં ઓછા 10 લાખ ભારતીયો પોતાનો કાનૂની દરજ્જો ગુમાવી શકે છે. આ અનુમાન ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ના આંકડાઓ પર આધારિત છે, જે દર્શાવે છે કે 2025ના અંત સુધીમાં લગભગ 10.53 લાખ વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂકી છે, જ્યારે 2026માં વધુ 9.27 લાખ વર્ક પરમિટ સમાપ્ત થવાની છે.
સેરાહે ચેતવણી આપી છે કે કેનેડામાં કુલ 20 લાખ લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોઈ શકે છે, જેમાંથી લગભગ અડધા ભારતીય હશે. તેમણે આને "ખૂબ જ રૂઢિચુસ્ત અંદાજ" ગણાવ્યો કારણ કે હજારો સ્ટડી પરમિટ પણ સમાપ્ત થઈ રહી છે અને મોટી સંખ્યામાં શરણાર્થી અરજીઓ નકારવામાં આવે તેવી સંભાવના છે.વર્ક પરમિટની અવધિ પૂરી થતાં જ સંબંધિત વ્યક્તિનો કેનેડામાં કાનૂની દરજ્જો પણ સમાપ્ત થઈ જાય છે, સિવાય કે તે નવો વિઝા મેળવે અથવા કાયમી નિવાસ તરફ આગળ વધે. જોકે, કેનેડા સરકારે આવાસ સંકટ, સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ અને માળખાકીય સુવિધાઓની અછતને કારણે તાજેતરમાં અસ્થાયી કામદારો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સંબંધિત નીતિઓને કડક બનાવી છે. સરકારે અસ્થાયી રહેવાસીઓની સંખ્યા ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
Reporter: admin







