ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના પર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા આ કેસમાં આરોપી યુવકને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ચાંદોદ નજીકના નંદેરીયા ગામનો 19 વર્ષીય દેવ ગોપાલભાઈ માછી 19 જુલાઈના રોજ એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેણધા ગામમાં સંતાયો હોવાનું જાણવા મળતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
ત્યારબાદ સગીરા અને આરોપીના તબીબી પરીક્ષણમાં આરોપીએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાનું બહાર આવ્યું હતું. તપાસ પૂર્ણ થયા બાદ કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
નામદાર સેશન્સ કોર્ટે સમગ્ર કેસને ગંભીરતાથી ધ્યાનમાં લઈ આરોપી દેવ ગોપાલભાઈ માછી સામે પોક્સો એક્ટની જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવી કાયદેસરની સજા ફટકારી છે.
Reporter: admin







