વડોદરાઃ હરણીના લેક ઝોન તરીકે ઓળખાતા તળાવમાં બોટ પલટી જવાથી ૧૨ બાળકો અને ૨ શિક્ષિકાઓના મોત થયા હતા. તમામ સ્તરે તંત્રની ઘોર બેદરકારીના કારણે સર્જાયેલી આ કરુણાંતિકાને ૧૮ જાન્યુઆરીએ એક વર્ષ પુરુ થશે.જોકે હજી પણ આ મૃતક બાળકો અને શિક્ષિકાઓના પરિવારને ન્યાય મળ્યો નથી.
આ ઘટનાએ વડોદરાની સાથે સાથે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું.કારણકે મોતને ભેટેલા તમામ નાના બાળકો હતા અને વાઘોડિયા રોડની ન્યૂસનરાઈઝ સ્કૂલમાં ભણતા હતા.તેઓ પિકનિક માટે લેક ઝોન ખાતે આવ્યા હતા.જ્યાં તળાવમાં બોટિંગ માટે ૧૪ની ક્ષમતાળાળી બોટમાં ૩૮ બાળકોને ઠાંસી ઠાંસીને બેસાડી દેવામાં આવ્યા હતા.બોટ પાણીની વચ્ચે વળાંક લેવા ગઈ હતી અને પલટી મારી ગઈ હતી.આ માનવસર્જિત હોનારત જ હતી કારણકે સુરક્ષાના તમામ નિયમોને બાજુ પર મૂકી દેવામાં આવ્યા હતા.ન્યૂસનરાઈઝ સ્કૂલે પણ પિકનિક જતા પહેલા ડીઈઓ કચેરીની પરવાનગી નહીં લીધી હોવાનું બહાર આવ્યું હતું.
આ ઘટના બાદ સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.હરણી બોટ કાંડની આજે ૧૮ જાન્યુઆરીએ પહેલી વરસીએ કોંગ્રેસ દ્વારા સવારે ૯-૪૫ વાગ્યે હરણી તળાવથી માર્કેટ ચાર રસ્તા સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, પીડિત પરિવારોને ન્યાય આપવા માટે તથા આ દુર્ઘટના માટે જવાબદાર દોષિતોને જેલ ભેગા કરવાની માગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.જ્યારે વોર્ડ નંબર ૧૫ના ભાજપના કોર્પોરેટરે પણ સવારે ૮-૪૫ વાગ્યે ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે, બપોરે ૧૨ વાગ્યે કોર્પોરેશન ઓફિસ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે અને બપોરે ૩ વાગ્યે એરપોર્ટ સર્કલથી હરણી લેક ઝોન સુધી પગપાળા જઈને મૃતક બાળકોને શ્રધ્ધાંજિલ આપવાનો કાર્યક્રમ યોજાયો છે.
Reporter: admin