વડોદરા શહેરના કલાલી રોડ પર જૈન ભવન નજીક પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા બે દિવસથી હજારો લિટર શુદ્ધ પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. લીકેજના કારણે રોડ પર પાણી સતત વહી રહ્યું છે અને હવે તે નજીકની રહેણાંક સોસાયટીઓમાં પણ ભરાવા લાગતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મુખ્ય પાણીની લાઇનમાં વારંવાર ભંગાણ સર્જાય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવે છે અને કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પરિણામે વારંવાર પાણીનો બગાડ થવા ઉપરાંત રસ્તા પર કાદવ-કીચડ સર્જાતા વાહનચાલકો માટે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે.
રહીશોએ આક્ષેપ કર્યો છે કે બે દિવસ વીતી ગયા છતાં લીકેજ બંધ કરવામાં આવ્યું નથી, જેના કારણે દરરોજ હજારો લિટર પીવાનું પાણી બિનજરૂરી રીતે વેડફાઈ રહ્યું છે. સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક મુખ્ય લાઇનનું સમારકામ કરીને કાયમી નિરાકરણ લાવવા અને પાણીના વેડફાટને અટકાવવાની માંગ કરી છે.
Reporter: admin







