વડોદરા: સુરસાગર કિનારે આવેલા પ્રખ્યાત શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે આજે શ્રાવણ માસના પ્રથમ શનિવાર તથા 15મી ઓગસ્ટના પાવન અવસર નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હનુમાનજી દાદાનો મનોરમ શણગાર કરવામાં આવ્યો હતો અને દાદાને 56 ભોગ ધરાવી ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

મંદિર ખાતે 13 ઓગસ્ટથી શરૂ થયેલી શિવ મહાપુરાણ કથાનું આયોજન પણ ચાલી રહ્યું છે, જેની પૂર્ણાહુતિ 19 ઓગસ્ટના રોજ થશે. કથાની પૂર્ણાહુતિ બાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ રાત્રે 8:30થી 9:30 કલાક સુધી મંદિર પરિસરમાં ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની ધૂનનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસના ચારેય શનિવારે હનુમાનજી દાદાને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવશે.
ધાર્મિક કાર્યક્રમોને લઈને મંદિર ખાતે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર પરિવાર દ્વારા શહેરના તમામ ભક્તોને શ્રાવણ માસના ધાર્મિક કાર્યક્રમો, શિવ મહાપુરાણ કથા તથા હનુમાનજી દાદાના દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
Reporter: admin







