News Portal...

Breaking News :

કિશ્તવાડમાં ગમખ્વાર અકસ્માત: સ્કોર્પિયો 200-300 ફૂટ નીચે ખાબકી, 5નાં મોત

2026-08-15 15:42:12
કિશ્તવાડમાં ગમખ્વાર અકસ્માત: સ્કોર્પિયો 200-300 ફૂટ નીચે ખાબકી, 5નાં મોત

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દચ્છન વિસ્તારમાં શનિવારે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડાંગડારુથી સાઉન્ડર તરફ જઈ રહેલી મહિન્દ્રા સ્કોર્પિયો અચાનક રસ્તા પરથી લપસીને આશરે 200થી 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. ત્યારબાદ વાહન ચિનાબ નદીમાં જઈ પડ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા છે.

મળતી માહિતી મુજબ, સ્કોર્પિયો (રજિસ્ટ્રેશન નંબર HR29AG-0648) ડાંગડારુથી સાઉન્ડર તરફ જઈ રહી હતી. સવારે આશરે 10:45 વાગ્યે યૈનવાન, ડાંગડારુ નજીક વાહન અચાનક નિયંત્રણ ગુમાવીને રસ્તા પરથી નીચે ખાબક્યું હતું.

અકસ્મતની જાણ થતાં જ દચ્છન પોલીસ સ્ટેશનની ટીમ સ્થાનિક લોકો અને અન્ય કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં પાંચ મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

DC પંકજ કુમાર શર્માએ શું કહ્યું?

કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ કુમાર શર્માએ જણાવ્યું હતું કે અકસ્માતમાં સામેલ વાહનમાં દમદુરુ ખાતે એક પ્રોજેક્ટ પર કામ કરતા મજૂરો સવાર હતા. વાહન લગભગ 200થી 300 ફૂટ નીચે ખાબક્યું હતું. પાંચ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે દચ્છન લઈ જવામાં આવ્યા છે. વાહન હજુ સુધી મળી આવ્યું નથી, તેથી તેમાં વધુ લોકો સવાર હતા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી અને ઉપરાજ્યપાલે વ્યક્ત કર્યો શોક

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવી હતી. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પણ ઘટનાની માહિતી મેળવી હતી અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા અસરગ્રસ્ત પરિવારોને જરૂરી મદદ પહોંચાડવા તંત્રને સૂચના આપી હતી.
અકસ્મતના કારણોની તપાસ ચાલી રહી છે.

Reporter: admin

Related Post