થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં રવિવારે મોડી રાત્રે એક બારમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે, જ્યારે 63થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ વીજળીની સિસ્ટમમાં સર્જાયેલી ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
થાઇ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફાયર બ્રિગેડને મધરાતે આગની જાણ થતાં તાત્કાલિક ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આશરે 30 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ ત્યાં સુધી બારની ઇમારતનો મોટો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો.
ઘટનાસ્થળે હાજર એક સંગીતકારે જણાવ્યું કે વીજળી જતી પહેલાં સ્ટેજ નજીક આવેલા સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. થોડા જ સમયમાં જોરદાર વિસ્ફોટ થયો અને સમગ્ર બારમાં ધુમાડો ફેલાઈ ગયો, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ.
Reporter: admin







