વડોદરા મહાનગરપાલિકાએ વાઘોડીયા રોડ વિસ્તારમાં આવેલી બાલાજી ઉપવન સોસાયટીના આંતરિક માર્ગ પર થયેલું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મહાનગરપાલિકાની હદમાં આવતા વાઘોડીયા રોડ ગુરુકુલ ચાર રસ્તાથી હાઈવે તરફ જતા માર્ગ પર આવેલી બાલાજી ઉપવન સોસાયટીમાં બે મકાન માલિકો દ્વારા સોસાયટીના આંતરિક રોડના ડેડ એન્ડ વિસ્તારમાં કંપાઉન્ડ વોલ અને ગેટ બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતના આધારે મહાનગરપાલિકાએ તપાસ હાથ ધરી હતી. દબાણ કરનાર મકાન માલિકો સામે જી.પી.એમ.સી. એક્ટ હેઠળ નોટિસ આપવાની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
મહાનગરપાલિકાની ટીમે તા. 3 સપ્ટેમ્બર, 2026ના રોજ બાલાજી ઉપવન સોસાયટીના મકાન નં. એ-5 અને સી-6ના માલિકો અથવા કબ્જેદારો દ્વારા આંતરિક રોડના ડેડ એન્ડ વિસ્તારમાં કરવામાં આવેલ કંપાઉન્ડ વોલ અને ગેટનું દબાણ દૂર કર્યું હતું.
સોસાયટીના આંતરિક જાહેર માર્ગમાં કરવામાં આવેલા દબાણને કારણે રહેવાસીઓની અવરજવર અને માર્ગના ઉપયોગને અસર થતી હોવાની રજૂઆત બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરી માર્ગનો ભાગ ખુલ્લો કરાવ્યો હતો.
Reporter: admin







