વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ-2026ના બજેટને 'વિરાસતથી વિકાસ'ની થીમ આપી શહેરની 128 હેરિટેજ ઇમારતોના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે આયોજન જાહેર કર્યું છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ માંડવી, લહેરીપુરા દરવાજો, ન્યાય મંદિર, તાંબેકરનો વાડો અને સૂર્યનારાયણ બાગ મંદિરને પ્રથમ તબક્કામાં પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં માંડવીના રિસ્ટોરેશનનું કામ સવાની હેરિટેજ દ્વારા હાથ ધરાયું છે.
જોકે, રિસ્ટોરેશનની કામગીરી વચ્ચે જ હેરિટેજ ઇમારતોની જાળવણી અંગે પ્રશ્નો ઊભા થયા છે. માંડવીના એક પિલ્લર પર અંદાજે પાંચ ફૂટ ઊંચો પીપળો ઉગી ગયો હોવા છતાં તેને દૂર કરવામાં આવ્યો નથી. લહેરીપુરા દરવાજા અને ન્યાય મંદિર પર પણ વૃક્ષો ઉગી જતાં ઐતિહાસિક માળખાને નુકસાન પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મત મુજબ હેરિટેજ ઇમારતો પર ઉગતા વૃક્ષોના મૂળ દીવાલો અને પથ્થરોમાં પ્રવેશતા હોવાથી સમય જતાં માળખું નબળું પડી શકે છે.
વૃક્ષોના દબાણથી હેરિટેજને ખતરો
બીજી તરફ મહાનગરપાલિકાએ સ્ટેશન રોડ, કાલાઘોડા, આરાધના સિનેમા, કોઠી, રાવપુરા, અમદાવાદી પોળ, જ્યુબિલી બાગ અને સુરસાગર સહિતના વિસ્તારોમાં વૃક્ષોનું ટ્રિમિંગ હાથ ધર્યું છે, પરંતુ હેરિટેજ સ્મારકો પર ઉગેલા વૃક્ષો દૂર કરવા અંગે કોઈ કાર્યવાહી ન થતાં ઉદાસીનતાના આક્ષેપ થઈ રહ્યા છે. શહેરની ઐતિહાસિક વિરાસતના સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો 'વિરાસતથી વિકાસ'નું સૂત્ર ક્યાંક 'વિરાસતનો વિનાશ'માં ન ફેરવાય તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.
Reporter: admin







